જૂનું બધું ભૂલી જાવ, સરપંચથી લઈને બધે જ હોવું જોઇએ ભાજપ: નીતિન પટેલ

પાટણ: પાટણમાંથી પસાર થતાં ચાણસ્મા પાટણ ડીસા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ નવજીવન ચોકડી પર રૂ.27 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાય ઓવરબ્રિજનું ભૂમિપૂજન અને કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) કચેરીનું લોકાર્પણ ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગુરૂવારે થયું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પાટીદારોને જૂનુ બધુ ભૂલી જવા અને વેપારીઓને માર્કેટયાર્ડમાં જોઇશે તેટલી સબસીડી સુવિધાઓ આપવાનું કહીને રીઝવવા પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત તેમણે લોકોને ટકોર કરી હતી કે જૂનું થયું તે ભૂલી જાવ બધું. સારું થતું હોય ત્યારે પાટણ જુદુ રહે તે ના ચાલે. સરપંચથી માંડી દરેક જગ્યાએ ભાજપ જ હોવું જોઈએ. તો ધારાસભ્યના ધરણાંને રાજકારણનો દેખાડો ગણાવ્યો હતો.

માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ઊંઝા કડી મહેસાણાની જેમ હવે પાટણ માર્કેટયાર્ડને પણ સરકાર સબસિડીઓ આપી ખેડૂતો વેપારીઓ માટે સુવિધા કરશે. માર્કેટયાર્ડમાં તોતિંગ શેડ બનાવવા માટે જેટલી જરૂર હશે તેટલી મદદ કરવાની અને ખેડૂતોએ ભૂતકાળમાં કલ્પના ન કરી હોય તેવી સુવિધા પાટણ માર્કેટયાર્ડમાં મળશે તેવી ખાતરી આપી હતી. તેમણે સાંભળવામાં આવતું હતું કે ઓવરબ્રિજ ચાલુ કરવા માટે ધરણાં કરવાના છે તેમ જણાવી આડકતરી રીતે ધારાસભ્ય કીરીટ પટેલનું નામ લીધા વગર કહ્યું હતું કે પ્રજા સાથે રમત કરવાની ન હોય. પ્રજાની સેવા કરવાની હોય. ચૂંટાયેલા લોકોએ કડીરૂપ થવાનું હોય. કડી તોડવાની ન હોય. કોઈએ દેખાડો કરવાની જરૂર નથી.

આ પ્રસંગે1000 કીલો ખજૂર અને 350 કિલો ચીકી થી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ સ્વાગત કરવામાં આવ્યું હતું .બાદમાં 1000 કિલો ખજૂર 500 આંગણવાડીના બાળકો માટે અને 350 કિલો ચીકી પ્રાથમિક શાળાના 20000 બાળકો માટે અર્પણ કરવામાં આવ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.