કાનપુર સંરક્ષણ ગૃહમાં 57ને કોરોના, 2 બાળકી ગર્ભવતી, પ્રિયંકાના સવાલ મુદ્દે DMની સફાઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારી આવાસગૃહમાં કોરોના વાયરસે પગ પ્રસરાવ્યો છે અને 57 બાળકીઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. આ કારણે જિલ્લા પ્રશાસનમાં ભારે હડકંપ મચી ગયો છે અને સાથે જ અનેક પ્રકારના સવાલો પણ સામે આવ્યા છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેને સરકારની લાપરવાહી ગણાવી છે.

પ્રિયંકા ગાંધીએ રવિવારે લખ્યું હતું કે, ‘કાનપુરના સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં 57 બાળકીઓ કોરોના પોઝિટિવ આવી છે અને તેની તપાસમાં તે પૈકીની બે બાળકી ગર્ભવતી મળી હતી જ્યારે એક એઈડ્સ પોઝિટિવ આવી છે.

મુઝફ્ફરપુર (બિહાર)ના બાલિકા ગૃહની ઘટના દેશની સામે છે અને યુપીમાં પણ દેવરિયા ખાતે આવી ઘટના બનેલી છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવે તે બતાવે છે કે તપાસના નામે બધુ દબાવી દેવામાં આવે છે. સરકારી બાળ સંરક્ષણ ગૃહોમાં ખૂબ જ અમાનવીય ઘટનાઓ બની રહી છે.’

હકીકતે બાલિકા ગૃહમાં જ્યારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા તો કેટલીક અન્ય ચોંકાવનારી ઘટના પણ સામે આવી. તપાસ દરમિયાન 7 બાળકીઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું અને તેમાંથી કેટલીકને કોરોના વાયરસનો ચેપ પણ લાગ્યો છે.

કાનપુરના DMએ આપી સફાઈ

આ મુદ્દે હવે પ્રશાસન તરફથી પણ સફાઈ આપવામાં આવી છે. આ વિવાદ મુદ્દે કાનપુરના DMએ ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘કાનપુર સંરક્ષણ ગૃહમાં કોરોના પોઝિટિવ કેસમાં બે ગર્ભવતી બાળાના

મામલે સ્પષ્ટ કરવાનું રહે છે કે પોક્સો એક્ટ અંતર્ગત CWC આગ્રા અને કન્નૌજના આદેશથી ડિસેમ્બર 2019માં બંને બાળકીઓને સંરક્ષણ ગૃહમાં જગ્યા આપવામાં આવી હતી અને તે સમયે કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેઓ પહેલેથી જ ગર્ભવતી હતી.’

DMએ ટ્વિટમાં લખ્યું હતું કે, કેટલાક લોકો કાનપુર સંરક્ષણ ગૃહને લઈ ખોટા ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. કટોકટીના સમયે આવા કૃત્ય સંવેદનહીનતાનું ઉદાહરણ છે. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના ભ્રામક સમાચારોની તપાસ કર્યા વગર પોસ્ટ ન કરશો. જિલ્લા પ્રશાસન આ અંગેની જરૂરી કાર્યવાહી માટે સતત તથ્યો એકત્રિત કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.