કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી બતાવે: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરૂવારે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર ત્રણ આઈપીએસ અધિકારીઓને બોલાવવા માટે ફરીથી આદેશ આપ્યો, પરંતુ હવે ટીએમસીએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પાર્ટીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં અમે અમારા અધિકારીઓને કેન્દ્રમાં મોકલીશું નહીં અને જો કેન્દ્રમાં હિંમત હોય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી બતાવે.

આ સાથે જ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું છે કે આઇપીએસ કેડરના નિયમો અનુસાર વિવાદની સ્થિતિમાં રાજ્યએ કેન્દ્રનું કહેવું માનવું પડશે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ત્રણ આઈપીએસ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી ચુકી છે અને તેઓને તાત્કાલિક કાર્યમુક્ત કરવા જોઇએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાજ્યને વાંધો હોવા છતાં, કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર પશ્ચિમ બંગાળના ત્રણ સેવા આપતા આઈપીએસ અધિકારીઓને બોલાવવાના ભારત સરકારના હુકમ, IPS કેડર નિયમ 1954 ની કટોકટીની જોગવાઈની શક્તિનો જબરદસ્ત દુરૂપયોગનું આ એક દ્રષ્ટાંત છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ક્યારેય પણ વિસ્તરણવાદી અને બિનલોકશાહી બળોની સામે ઝકશે નહીં.

TMC પ્રમુખે કહ્યું કે, આ કાયદો રાજ્યનાં અધિકારક્ષેત્રને ઘેરવાનો અને પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા અધિકારીઓને નિરાશ કરવાની ઇરાદાપૂર્વકની કવાયત સિવાય બીજુ કશું જ નથી. આ પગલું સંઘીય માળખાનાં મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, ખાસ કરીને ચૂંટણી પહેલા. આ ગેરબંધારણીય અને સંપૂર્ણ અસ્વીકાર્ય છે!

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, કેન્દ્ર દ્વારા પ્રોક્સી રીતે રાજ્ય મશીનરીને અંકુશમાં લેવા આ પ્રયાસને અમે મંજૂરી આપીશું નહીં! પશ્ચિમ બંગાળ વિસ્તારવાદી અને બિનલોકશાહી બળોની સામે ઝુકવાનું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.