ખબરદાર, કોંગ્રેસને મત આપતા નહીં, માયાવતીએ પોતાના ધારાસભ્યોને વ્હીપ મોકલ્યો

– રાજસ્થાનના નાટકમાં નવો વળાંક

બસપા પ્રમુખ માયાવતીએ રાજસ્થાન વિધાનસભામાં પોતાના પક્ષના ધારાસભ્યોને એક વ્હીવ (દંડક) મોકલીને વિશ્વાસનો મત લેવાય તેમાં કોંગ્રેસને મત નહીં આપવાનો આદેશ આપ્યો હતો. માયાવતીના આ વ્હીપથી રાજસ્થાનના પોલિટિકલ નાટકમાં નવો વળાંક સર્જાયો હતો.

અત્રે એ યાદ રહે કે ગયા વરસે બસપાના છ ધારાસભ્યોએ કોંગ્રેસમાં જોડાવા માટે બસપા છોડવાની જાહેરાત કરી હતી. બસપાના મહામંત્રી સતીશ ચંદ્ર મિશ્રાએ એક જાહેર નિવેદનમાં કહ્યું હતું કે બસપા એક રાષ્ટ્રીય પક્ષ છે અને બંધારણની દસમી કલમના ચોથા પેરેગ્રાફ મુજબ દેશભરની વિધાનસભાઓમાં બસપા દરેક સ્થળે વિલીન ન થાય ત્યાં સુધી કોઇ રાજ્યના ધારાસભ્ય આ રીતે પક્ષાંતર કરી શકે નહીં.

દેખીતી રીતેજ કોંગ્રેસ પક્ષ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના દરેક વ્યૂહને નિષ્ફળ બનાવવા માટે આ પગલું લેવાયું હતું. મિશ્રાએ વધુમાં કહ્યું કે આ છ સભ્યો પક્ષના વ્હીપની વિરુ્દ્ધ જઇને સરકારની તરફેણમાં મતદાન કરશે તો તેમનું ધારાસભ્યપદ રદ થઇ જશે અને તેમણે ફરી ચૂંટણી લડવા તૈયાર રહેવું પડશે.

મિશ્રાએ વધુમાં કહ્યું કે છએ છ ધારાસભ્યોને અલગ અલગ નોટિસ મોકલવામાં આવી છે અને કોઇ પણ સંજોગોમાં કોંગ્રેસની તરફેણમાં મતદાન નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

જો કે ગેહલોત પોતાની ચાલ પર મુસ્તાક છે અને એમણે આ  વ્હીપની વાત સાંભળીને રહસ્યમય સ્મિત કર્યું હતું. અત્રે એ હકીકત ધ્યાનમાં લેવી રહી કે ભાજપ ધારાસભ્યોને મોટી રકમની લાલચ આપીને ખરીદી શકે તો એ જ રમત કોંગ્રેસ પણ રમી શકે.

અત્યારે તો રાજસ્થાનના રાજકારણમાં રોજ સવાર પડ્યે નવા નવા વળાંકો સર્જાતા જાય છે. આજે સુપ્રીમ કોર્ટ સચિન પાઇલટ જૂથના પક્ષાંતરને નકારે તો સચિન પાઇલટ જૂથની સ્થિતિ ધોબીના કૂતરા ન ઘરના ન ઘાટના જેવી થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.