લાફો ખાઈને પણ ગાલ લાલ રાખતી શિવસેના, રાઉતે શરદ પવારને સોનાના ત્રાજવે તોળ્યાં

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારના એક જ નિવેદને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. શરદ પવારે કહ્યું હતું કે, આ મુલાકાતમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને કોઈ જ વાતચીત નથી થઈ. જેથી સરકાર રચવાના સપના સેવી રહેલી શિવસેનાને 440 વોલ્ટનો ઝાટકો લાગ્યો હતો. જોકે તેમ છતાંયે શિવસેનાએ શરદ પવારના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે, શરદ પવાર શું કરે છે તેને સમજવા માટે 100 જન્મ લેવા પડે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, શરદ પવાર શું કહે છે તેને સમજવા માટે 100 વાર જન્મ લેવો પડે. શરદ પવાર દ્વારા સરકાર રચવાને લઈને લેવામાં આવેલા યૂ-ટર્નને લઈને તેમણે આ વાત કહી હતી.

સંજય રાઉતે કહ્યું હતું કે, તમારે પવાર અને અમારા ગઠબંધનને લઈને ચિંતા કરવાની જરૂર નથી. નજીકના ભવિષ્યમાં એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ હેઠળને એક સરકાર બની જશે. આ એક સ્થિર સરકાર હશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર રચવાને લઈને શિવસેનાને કોઈ જ શંકા નથી. પરંતુ મીડિયા આ મામલે શંકા ઉભી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે વાતચીત થઈ છે.

સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, એ શિવસેના જ હતી જેણે મહારાષ્ટ્રમાં ભાજપને ઉભી કરી. તેને સીટ આપી અને હંમેશા પોતાની સાથે રાખી અને હવે ભાજપે સંસદમાં શિવસેનાના સાંસદોની બેઠક વ્યવસ્થા જ બદલી નાખી છે. પણ ભાજપે તેની કિંમત ચુકવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.