લોકડાઉનની ગાઇડલાઇનનો કોઇ રાજ્ય ભંગ નહીં કરી શકે : કેન્દ્ર

– 31મી મે સુધી કેન્દ્રએ જારી કરેલા નિયમોનું પાલન ફરજિયાત

– પોતાના રાજ્યમાં કોરોના મૃત્યુ દર અને વસતીના આધારે કન્ટેઇન્મેન્ટ અને બફર ઝોન નક્કી કરવાના રહેશે

– પશ્ચિમ બંગાળમાં 31મી સુધી લોકડાઉન લંબાવાયું, જોકે 27મી પછી સલૂન, પાર્લર, દુકાનો ખોલવા છુટ

– કર્ણાટક સરકાર ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુના લોકોને શરતો સાથે રાજ્યમાં પ્રવેશવા દેશે

 

કેન્દ્ર સરકારે લોકડાઉનને મે મહિના સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે આ દરમિયાન ક્યા વિસ્તારોમાં કેટલી છુટછાટ આપવી તે નિર્ણયો રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યા હતા. બીજી તરફ કેન્દ્ર સરકારે રેડ, ઓરેંજ, ગ્રીન ઝોન નક્કી કરવા માટે કેટલાક ધારાધોરણો જાહેર કર્યા છે અને તે મજૂર રાજ્ય સરકારોએ કન્ટેઇન્મેન્ટ કે બફર ઝોન નક્કી કરવાના રહેશે. જેમાં એક લાખની વસતીએ કેટલા કોરોના કેસો છે તેમજ મૃત્યુ દર આ વિસ્તારોમાં કેટલો છે તેને ધ્યાનમાં રાખીને જ વિસ્તારોને નક્કી કરવાના રહેશે.

આ સાથે જ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવવા અંગે જે પણ ગાઇડલાઇન કે ધારાધોરણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે તેનું ઉલ્લંઘન કોઇ પણ રાજ્ય સરકાર નહીં કરી શકે. રાજ્ય સરકારોના સચીવો માટે કેન્દ્રીય ગૃહ સચીવ અજય ભલ્લાએ સંદેશો મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે લોકડાઉનના ચોથા તબક્કા માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેનું પાલન કરવું દરેક રાજ્યો માટે ફરજિયાત છે. આ ગાઇડલાઇનમાં એરિયાઓને ચોક્કસ ઝોનમાં ફેરવીને છુટછાટો આપવી કે નહીં તે નક્કી કરવાનું રહેશે.  સાથે જ કેટલીક વસ્તુઓના વેચાણ પર અને ચોક્કસ વ્યાપાર પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે જેની યાદી પણ રાજ્ય સરકારોને મોકલવામાં આવી છે.

બીજી તરફ કેટલાક રાજ્યો સ્વેચ્છાએ લોકડાઉન લંબાવી રહ્યા છે અને કોઇ પણ છુટછાટ નથી આપી રહ્યા, પશ્ચિમ બંગાળે ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. જોકે સાથે જ કેટલીક છુટછાટો આપવામાં આવી છે. મમતાએ કહ્યું હતું કે ફેરીયાઓ, સલૂન અને પાર્લરને ૨૭મી મે બાદ ખોલવાની છુટ આપવામાં આવશે. દરમિયાન કર્ણાટક સરકારે અન્ય રાજ્યોમાં આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેને લઇને સરકારે હવે કેટલીક સ્પષ્ટતા કરી છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકોને ચોક્કસ સ્ક્રિનિંગ અને તપાસ બાદ પ્રવેશ આપવામાં આવશે, રાજ્ય સરકારો દ્વારા આવા લોકોને પ્રવેશવા દેવાની માગણી કરાશે કે અનુમતી અપાશે તેને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.