મકાન માલિક ભાડા કે મકાન ખાલી કરવાની સમસ્યા ઉભી કરતા હોય તો પોલીસને જાણ કરે:સુરત પોલીસ કમિશ્નર

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ટ્રાન્સપોર્ટની સુવિધાઓ બંધ કરવામાં આવી છે. 21 દિવસનું લોકડાઉન જાહેર થતાં કેટલાક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લોકોને વાહન ન મળતાં તેઓ પગપાળા વતનની વાટ પકડી રહ્યા છે.

હિજરત કરીને જતાં લોકોને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જે લોકો જ્યાં છે ત્યાં જ રહેશે તો સલામત રહેશે. લોકો એક જ સ્થળ પર રહેશે તો કોરોના સંક્રમણથી બચવાની સંભાવનાઓ વધારે રહેશે. આ ઉપરાંત જો મકાન માલિક ભાડુઆતને ભાડા બાબતે તકલીફ કરતા હોય તો ભાડુઆત પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતે જણાવી શકે છે અને પોલીસ તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે અને મકાન માલિકની સાથે વાતચીત કરીને તેમને સમજાવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં માનવતાને શર્મસાર કરતે કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મકાન માલિકોએ તેમના મકાનમાં રહેતા એક ડૉક્ટર અને નર્સને મકાન ખાલી કરાવવા માટે કહ્યું હતું. ડૉક્ટર અને નર્સ બહાર જતા હોવાથી કોરોનાનાં ડરના કારણે  મકાન માલિકે મકાન ખાલી કરવા માટે કહ્યું હતું. આ બાબત જિલ્લા કલેક્ટરને જાણવા મળતા તેઓએ તાત્કાલિક સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે મકાન માલિકના કારણે હિજરત કરતા લોકોને સુરત પોલીસ કમિશનરના નિર્ણયથી હિજરત કરવાનો વારો આવશે નહીં અને તેમની સમસ્યાનું નિરાકરણ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.