મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપને આપ્યો ઝટકો, ગ્વાલિયર-ચંબલ પેટાચૂંટણી પહેલાં ભાજપી નેતાએ પાટલી બદલી

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે આજે સવારે ભાજપને જોરદાર આંચકો આપ્યો હતો. કોંગ્રેસ ત્યજીને ભાજપમાં જોડાઇ ગયેલા ગ્વાલિયરના જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં કમલનાથે મોટું ગાબડું પાડ્યું હતું.

2018માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના  ઉમેદવાર રહેલા સતીશ સિકરવાર આજે સવારે સેંકડો કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કમલનાથની હાજરીમાં સતીશ સિકરવારે કોંગ્રેસનું સભ્યપદ સ્વીકારતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યેા હતો. ખાસ કરીને ગ્વાલિયર-ચંબલ પેટાચૂંટણી પહેલાં કમલનાથે આ સિદ્ધિ મેળવીને ભાજપને સ્તબ્ધ કરી દીધો હતો.

સતીશ સિકરવાર ગ્વાલિયરમાં મોટા ગજાના નેતા ગણાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના કેટલાક કાર્યકરો ભાજપમાં આવવાથી સિકરવાર નારાજ હતા. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર મુન્નાલાલ ગોયલ સામે ભાજપી ઉમેદવાર સતીશ સિકરવાર હાર્યા હતા. આ વખતે મુન્નાલાલ ગોયલ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીના ઉમેદવાર છે. એટલે સિકરવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. પેટાચૂંટણી પણ થશે તો મુન્નાલાલ યાદવ અને સતીશ સિકરવાર વચ્ચે જ. એમને પોતાની અવગણના થઇ રહી હોય એવું લાગતું હતું.

સતીશ સિકરવારની કૌટુંબિક ભૂમિકા પણ ભાજપની છે. એના પિતા ગજરાજ સિંઘ અને ભાઇ સત્યપાલ સિંઘ પણ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ટેકેદારો સાથે ભાજપમાં આવી જવાથી સિકરવાર જૂથનું અને પક્ષના જૂના જોગીઓનું માન ઘટી ગયું હોય એવું સિકરવારને લાગતું હતું. હવે ભાજપની નેતાગીરી ગ્વાલિયર-ચંબલના નારાજ નેતા-કાર્યકરોને મનાવવાની કોશિશ કરી રહી હતી.

2018ની ચૂંટણીમાં સિકરવાર કોંગ્રેસના મુન્નાલાલ ગોયલ સામે માત્ર 18 હજાર વોટથી હાર્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.