નિત્યાનંદ આશ્રમ કેસ: DPS સામે આજે પોલીસ ફરિયાદ! સ્વામીના માતા-પિતા કોણ તેની પણ તપાસ

કૃખ્યાત નિત્યાનંદ સાથે સંકળાયેલી હિરાપુર વિસ્તારની ડીપીએસ-ઈસ્ટ સ્કૂલ સામે પોલીસ ફરિયાદ થવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ડીપીએસ સ્કૂલ દ્વારા સીબીએસઈમાં રજૂ કરેલી NOC રાજ્ય શિક્ષણ વિભાગે માગી હતી. ગુરુવારના રોજ સીબીએસઈએ ડાયરેક્ટર ઓફ સ્કૂલને NOC મોકલી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી હવે આ NOCના આધારે શુક્રવારના રોજ ડીપીએસ-ઈસ્ટ સ્કૂલ સામે પોલીસ ફરિયાદ થવાના સ્પષ્ટ એંધાણ છે. મળતી વિગતો પ્રમાણે, ડીપીએસ સ્કૂલ સામે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓને ફરિયાદી બનાવાશે.

નિત્યાનંદના ગોરખંધધાનો ભાંડો ફૂટતા ડીપીએસ સ્કૂલમાં ડીઈઓ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ખબર પડી કે સપ્ટેમ્બર, 2009માં કેલોરેક્સ ફાઉન્ડેશને હીરાપુરમાં ડીપીએસ-ઈસ્ટ સ્કૂલ માટે સીબીએસઈનું જોડાણ મેળવવા એનઓસી માગી હતી પણ તે સમયે એનઓસી આપતા પહેલાં બીયુ પરમિશન, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જેવી મંજૂરીઓ અને ખાસ તો જે જમીન પર સ્કૂલ બાંધી તેને બિન-ખેતી (એનએ)ની મંજૂરી મળી છે કે નહીં તેની વિગતો માંગેલી.

પરંતુ, કેલોરેક્સ ફાઉન્ડેશને જરૂરી દસ્તાવેજો સોંપ્યા નહોતા. પરિણામે, 4-2-2012ના દિવસે સીબીએસઈના જોડાણ માટેનું એનઓસી આપવાનો શિક્ષણ વિભાગે ઈનકાર કરી દીધો હતો. આમ, જમીનના ટાઈટલ અને એનએ વિષે કેલોરેક્સ ફાઉન્ડેશને ખુલ્લેઆમ ગેરરીતિ આચરી, ખોટું બોલી, દસ્તાવેજો ઊપજાવી કાઢી સીબીએસઈનું જોડાણ મેળવ્યું હોવાનું તારણ શુક્રવારે ડીઈઓની ટીમે શિક્ષણ વિભાગને આપ્યું છે. આના આધારે શિક્ષણ વિભાગે તમામ વિગતો સીબીએસઈને પાઠવી તત્ત્કાળ ડીપીએસનું જોડાણ રદ કરવુ અને જે પ્રકારે કેલોરેક્સ ફાઉન્ડેશને બનાવટી એનઓસીના આધારે આ મંજુરી મેળવી હોવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે તેની સામે યોગ્ય પગલાં ભરવા સીબીએસઈની ટીમને પણ અમદાવાદ બોલાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.