નવા CAA અને NRCના વિરોધમાં આજે અમદાવાદ શહેર બંધનું એલાન, પોલીસ સ્ટેન્ડ-ટુ

સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ અને એનઆરસીના મુદ્દે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા ત્રણ ચાર દિવસ પહેલાં ૧૯મી ડિસેમ્બરના ગુરુવારે અમદાવાદ બંધનું એલાન અપાયું હતું.જેને અન્ય સંગઠનોએ ટેકો આપ્યો છે. રિક્ષા ચાલકોના એસોસિયેશને આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે પરંતુ રિક્ષા હડતાલનું એલાન આપ્યું નથી, પરંતુ છાસ લેવી છે પણ દોણી સંતાડવાની માફક રિક્ષા ચાલકો સ્વયંભૂ જોડાઈ શકે તે મતલબનું નિવેદન આપ્યું છે. શાહી જામા મસ્જિદના પેશ ઈમામ સહિતના આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

અમદાવાદના સ્વૈચ્છિક સંગઠને આપેલા શહેર બંધના એલાનને વિવિધ સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે, તેમના દાવા પ્રમાણે અમદાવાદના રિક્ષા ચાલકો પણ આ બંધમાં જોડાવાના છે, સાથે જ ખમાસા નજીક રાજનગર શાક માર્કેટ, ત્રણ દરવાજા પાથરણાં બજાર, કાલુપુર ચંપલ બજાર સહિતના બજારો આ સ્વયંભૂ બંધમાં જોડાવાના છે તેવો દાવો કરાઈ રહ્યો છે. વિવિધ આગેવાનોનું કહેવું છે કે, CAA અને NRC દેશના સંવિધાન વિરુદ્ધ છે, સંવિધાનની રક્ષા કરવી તમામ લોકોની ફરજ છે, આ કોઈ હિન્દુ-મુસ્લિમનો મુદ્દો નથી, સાથે જ તેમણે બંધ સંપૂર્ણ શાંતિપૂર્વક રહે તે માટે અપીલ કરી છે. વિવિધ સંગઠનોએ દેખાવો યોજવાનું પણ એલાન કર્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે જણાવ્યું હતું કે, એનઆરસી બિલનો ગુજરાતમાં અમલ કરાશે. તેમણે કહ્યું કે, બિલને લઈને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.