પાક વીમાનાં નામે કંપનીઓએ કરી આટલાં કરોડોની કમાણી, તેમ છતાં ખેડૂતોને વળતરના ફાંફાં

ગુજરાતમાથી છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ ફસલ વીમાના નામે પ્રાઈવેટ કંપનીઓએ સરકાર અને ખેડૂતો પાસેથી રૂ.૧૨,૨૩૭ કરોડનું પ્રિમિયમ વસુલ્યુ છે. એમ છતાંયે પ્રાઈવેટ કંપનીઓ ખેડૂતોને નુકશાન વળતર આપતી નથી. તેવી ફરીયાદ સાથે વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વીમા કંપનીઓ પાસેથી ૧૦૦ ટકા પાક વીમો આપવા માંગણી કરી છે.

કોંગ્રેસના પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, આ વર્ષે એકલા ખરીફ સિઝનમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, યુનિવર્સિલ સોમ્પો, ભારતી એક્ષા, એગ્રીકલ્ચર ઈન્સ્પોરન્સ એમ ચાર કંપનીઓ જ રૂપિયા ૩૪૭૪ કરોડ ૨૭ લાખ ૩૭ હજાર ૨૪૭ વસૂલ્યા પછી પણ રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને ૧૦૦ ટકા પાક વીમો અપાવી શકી નથી. સરકાર ખેડૂતોને બદલે પ્રાઈવેટ કંપનીઓને કરોડોની કમાણી કરાવે છે. આ વર્ષે ખરીફ વાવેતરને વાવાઝોડાએ તબાહ કર્યુ, ખેડૂતોએ ફરીથી વાવેતર કર્યુ તો અતિવૃષ્ટીએ દાટ વાળ્યો જ્યાં પાક તૈયાર થઈ ઉભો હતો ત્યાં પણ કરા સાથેના માવઠાથી ગુજરાતના ખેડૂતોને પારવાર નુકશાન થયુ છે. તેની સામે સરકારે SDRFમાંથી રૂ.૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જે પુરતુ નથી. તેમાં તો ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં જ સહાય મળશે. ૩૩ ટકાથી ઓછા નુકશાન થયુ હોય તેવા ખેડૂતોને કંઈ જ મળશે નહી. SDRFએ ખેડૂતોનો અધિકાર છે. સરકાર કોઈ વધારાની સહાય આપતી નથી ત્યારે જ્યાંથી પુરેપુરો પાકવીમો મળી શકે તેમ છે તેવી પ્રાઈવેટ કંપનીઓને સરકાર છાવરે છે. આથી, રાજ્યમાં ખેડૂતોને રૂ.૨૫,૦૦૦ કરોડથી વધુનું નુકશાન થયુ છે. આથી, SDRF ઉપરાંત વીમા કંપનીઓ પાસેથી ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે અને સરકાર પોતે અલગ બજેટમાંથી ખેડૂતોને સહાય કરે તેવી માંગણી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.