પેંગોંગના વિવાદાસ્પદ કાંઠે જમીન પર ચીને 2 હજાર ચોરસ મિટરનો સિમ્બોલ દોર્યો !

ચીને પેંગોગ સરોવરના કાંઠે વિવિદાસ્પદ જગ્યાએ જમીન પર કદાવર સિમ્બોલ તૈયાર કર્યો છે. સેટેલાઈટ ઈમેજમાં સરોવરના કાંઠે દોરાયેલો સિમ્બોલ સરળતાથી જોઈ શકાય છે. ચીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે ચીની ભાષામાં ચાઈના એવુ લખ્યું છે.

જમીન પર ચિતરેલા આ  સિમ્બોલની લંબાઈ 81 મિટર અને પહોળાઈ 25 મિટર છે. એટલે કે કુલ વિસ્તાર 2 હજાર ચોરસ કિલોમીટર જેટલો થાય છે. આ સિમ્બોલ જ્યાં તૈયાર કર્યો એ ભૂમિ પર ભારત અને ચીન બન્ને પોતપાતાના દાવા કરે છે.  એટલે ત્યાં કોઈ દેશ આગળ વધી ન શકે.  પરંતુ ચીને અગાઉની અનેક સંિધની માફક એ સંિધનો પણ ભંગ કરી દીધો છે.

દરમિયાન ભારતે લદ્દાખની 1597 કિલોમીટર લાંબી ચીન સાથેની સરહદે ટી-90 ભીષ્મ ટેન્ક અને હોવિત્ઝર  (એક પ્રકારની તોપ) તૈનાત કરી દીધી છે. ભારત પણ ચીન સામે લાંબો સમય લડી લેવાની તૈયારી કરી રહ્યું છે અને કોઈ પ્રકારે ચીનની દાદાગીરી સહન કરવા નથી માંગતુ.

તિબેટમાં રહેલી ચાઇનિઝ ફોર્સના કમાન્ડર વાંગ હાજિઆંગે થોડા દિવસ પહેલા આ ચિત્ર જાહેર કર્યું હતું. ચીન ખુલ્લેઆમ આ ચિત્ર-સિમ્બોલ જાહેર કરીને ભૂમિ પોતાની જ હોવાનું પ્રસૃથાપિત કરવા માંગે છે.

બીજી તરફ ગલવાન નદીના કાંઠે વધુ કોઈ દુ:સાહસ કરવાની ચીનની તૈયારી હોય એમ લાગે છે. કેમ કે ત્યાં તૈનાત થનારા ચીની સૈનિકો વોટરપ્રૂફ વસ્ત્રોથી સજ્જ થઈ રહ્યા છે. નદી કાંઠાના સંઘર્ષમાં જ ચીનના 45 જેટલા સૈનિકો મરાયા હતા. માટે ચીન હવે તકેદારી રાખી રહ્યું છે.

ભારતના સૈનિકોને પણ વોટરપ્રૂફ કપડાં મળી રહે એ માટે ડિમાન્ડ થઈ છે

છેલ્લા થોડા દિવસથી ગલવાન નદીનું જળસ્તર વધ્યું છે. સંઘર્ષ વખતે ભારતના ઘણા સૈનિકો ગલવાનના ઠંડા-બર્ફિલા પાણીમાં પડી જવાથી શહિદ થયા હતા. હવે એવુ ન થાય એટલા માટે ભારતીય સૈનિકોને પણ ટૂંક સમયમાં વોટરપ્રૂફ વસ્ત્રો આપવામાં આવશે. કેમ કે ગલવાનના કાંઠે બન્ને દેશના સૈનિકો લાંબો સમય તૈનાત રહે એવી શક્યતા છે. ચીને તો મોટી સંખ્યામાં સૈનિકો ખડકી જ દીધા છે.

સિમ્બોલ દોરીને ચીન આ જમીન તો અમારી જ છે, એવો દેખાવ કરવા માંગે છે. કેમ કે ભવિષ્યમાં જ્યારે વિવાદ થાય ત્યારે ચીન આ તસવીરો બતાવી શકે કે જૂઓ ત્યાં અમારૂં નામ પણ લખેલું છે. એમ વિવિધ રીતે ચીન લદ્દાખના વિવિધ  વિસ્તારો પર  પેશકદમી કરવાની પેરવી કરી રહ્યું છે.

વાયુસેના ઈઝરાયેલ પાસેથી સ્પાઈસ બોમ્બ ખરીદશે

ભારતીય વાયુસેનાએ ઈઝરાયેલ  પાસેથી વધુ કેટલાક ઘાતક સ્પાઈસ-2000 બોમ્બ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ બોમ્બનો ઉપયોગ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પાકિસ્તાન સામે કર્યો હતો. વિમાનમાંથી પ્રહાર કરી શકાતા આ બોમ્બ જમીન પરના ટાર્ગેટનો ખાત્મો બોલાવામાં પાવરધા છે. 70 કિલોમીટર દૂર સુધી એ પ્રહાર કરી શકે છે. ભારત આ પ્રકારના બોમ્બ વાપરે છે અને અત્યારના સંજોગોમાં તેની વધારે જરૂરિયાત છે. એર ફોર્સ પાસે ઈમર્જન્સી ફાઈનાન્સિયલ પરચેઝ પાવર હોય છે,  જે હેઠળ એ 500 કરોડ રૂપિયાની ખરીદી સરકારને વચ્ચે લાવ્યા વગર  કરી શકે છે. એ સ્કીમ હેઠળ જ આ બોમ્બ પણ ખરીદાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.