PMથી લઈને સરપંચ સુધીના આપે છે ગુનેગારોને સંરક્ષણ, વિકાસ દુબે સાથે બરાબર થયુ : જનાર્દન મિશ્રા

‘પ્રાઈમરી શાળાના માસ્ટરથી લઈને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધીના લોકો ગુનેગારોને સંરક્ષણ આપે છે. દોષ ફક્ત ન્યાયપાલિકા કે સિસ્ટમમાં જ નથી, સંપૂર્ણ સમાજ વ્યવસ્થા જ દોષિત છે’

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પણ તેને લઈ ચર્ચાઓ સમાપ્ત નથી થઈ. ત્યારે ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ આ મામલે ખૂબ જ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે રાજનેતાઓ જ ગુનેગારોને સંરક્ષણ આપે છે અને તેમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના સામેલ હોય છે.

મધ્ય પ્રદેશના રીવા ખાતે ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેના એન્કાઉન્ટર અંગે ચર્ચા કરી રહ્યા હતા તે સમયે તેમણે જણાવ્યું કે, ‘યુપી પોલીસે સારૂં કર્યું કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. હું કદી ખોટું નથી બોલતો. રાજનેતાઓ જ ગુનેગારોને સંરક્ષણ આપે છે.’

PMથી લઈને સરપંચ સુધીના લોકો ગુનેગારોને રક્ષણ આપે 

સાંસદે જણાવ્યું કે, પહેલાના જમાનામાં વડાપ્રધાનથી લઈને સાંસદો ગુનેગારોને સંરક્ષણ આપતા હતા. વડાપ્રધાનથી લઈને સરપંચ સુધીના લોકોએ આ વ્યવસ્થાને જન્મ આપ્યો છે. તેમાં ગ્રામ પંચાયતના સરપંચ, ધારાસભ્યો, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી કે પછી વડાપ્રધાન આ બધા જ લોકો ગુનેગારોને ટિકિટ આપે છે અને તેમનો રાજકીય ફાયદો ઉઠાવે છે.

સંપૂર્ણ સમાજ વ્યવસ્થા દોષિત

જનાર્દન મિશ્રાના કહેવા પ્રમાણે પ્રાઈમરી શાળાના માસ્ટરથી લઈને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધીના લોકો ગુનેગારોને સંરક્ષણ આપે છે. દોષ ફક્ત ન્યાયપાલિકા કે સિસ્ટમમાં જ નથી, સંપૂર્ણ સમાજ વ્યવસ્થા જ દોષિત છે.

નિવેદનો માટે ચર્ચિત

ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા પોતાના વિવિધ નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે. ગત વર્ષે તેમણે એક આઈએએસ અધિકારીને જીવતા દાટી દેવાની ધમકી આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.