PM મોદીની ઉપસ્થિતિમાં ચીને ભારતની જમીન કેવી રીતે હડપી લીધીઃ રાહુલ ગાંધીનો સવાલ

વડાપ્રધાન ચીનનું સમર્થન શા માટે કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનું સમર્થન શા માટે નથી કરી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે લદ્દાખ મુદ્દે ફરી એક વખત મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, ‘એવું શું બન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચીને ભારત માતાની પવિત્ર જમીન છીનવી લીધી?’

રાહુલ ગાંધીએ એક ન્યૂઝ રિપોર્ટને ટ્વિટ કર્યો હતો અને મોદી સરકાર સામે સવાલો કર્યા હતા. ન્યૂઝ રિપોર્ટમાં એક સુરક્ષા નિષ્ણાંતે કરેલા દાવા પ્રમાણે કેન્દ્ર સરકાર LAC મુદ્દે ચીન સાથેના તણાવને લઈ મીડિયાને ગુમરાહ કરી રહી છે. ગાલવાન ઘાટીની આ સ્થિતિ ભારત માટે નુકસાનકારક બની શકે છે. આ રિપોર્ટને ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘એવું શું બન્યું કે મોદીજીની હાજરીમાં ચીને ભારત માતાની પવિત્ર જમીન છીનવી લીધી?’

લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીની સેના સાથેની લોહીયાળ અથડામણ બાદ રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓને લઈ સવાલો કરી રહ્યા છે. આ મામલે રાહુલ ગાંધી સતત એમ કહી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના દાવાની સાથે ઉભા છે પરંતુ તેઓ આપણી સેના સાથે ઉભેલા નથી દેખાઈ રહ્યા.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે ચીને આપણી જમીન લઈ લીધી. ભારત તેને પાછી મેળવવા ચર્ચાઓ કરી રહ્યું છે. ચીન આ જમીન ભારતની ન હોવાનું જણાવી રહ્યું છે. વડાપ્રધાને સાર્વજનિકરૂપથી ચીનના દાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન ચીનનું સમર્થન શા માટે કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનું સમર્થન શા માટે નથી કરી રહ્યા? ગાલવાન મુદ્દે યોજાયેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાને એમ કહ્યું હતું કે, કોઈ ભારતની સરહદમાં ઘૂસ્યું નથી અને કોઈએ ભારતની જમીન કબજે પણ નથી કરી.

ઉલ્લેખનીય છે કે, ગત 15 જૂનની રાતે લદ્દાખમાં LAC ખાતે ગાલવાન ઘાટી વિસ્તારમાં ચીન સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.