PoK પર વેધર રિપોર્ટઃ ભારતે પાકિસ્તાનને પહોંચાડ્યા ત્રણ આકરા સંદેશા

યુકેમાં રહેતા પાકિસ્તાની નેતાઓને પણ આડકતરો સંદેશો અપાયો

 

કેન્દ્ર સરકારે ટેલિવિઝન ચેનલ્સને પોતાના હવામાન રિપોર્ટમાં પીઓકે અને ઉત્તરી વિસ્તારોની અપડેટ બતાવવા નિર્દેશ આપ્યો છે. આ રીતે ઈમરાન ખાનના પાકિસ્તાન વિરૂદ્ધની ભારતની સ્ટ્રેટેજીમાં ભારે મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે આ નિર્ણય લીધો છે અને તેની શરૂઆત ત્રણ મહીના પહેલાથી કરી દેવાઈ હતી.

ગત ત્રણ ફેબ્રુઆરીના રોજ વિદેશ અને ગૃહ મંત્રાલયના સચિવોને આ અંગેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. તે સિવાય ઈન્ટેલિજન્સ બ્યુરો અને રોના પ્રમુખોને પણ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને ગત સપ્તાહે આ માટેની મંજૂરી મળી ગઈ હતી.

પાકિસ્તાન માટે ત્રણ કઠોર સંદેશા 

સરકારે દૂરદર્શનને પીઓકેના મીરપુર અને મુઝફ્ફરાબાદ સહિત ઉત્તરી ક્ષેત્રના ગિલગિટ બાલ્ટિસ્તાનના હવામાનના સમાચાર દેખાડવા કહેલું છે અને તે સિવાય કેટલીક ખાનગી ચેનલ્સને પણ આ માટે નિર્દેશ આપ્યો છે. આ કારણે ખાનગી ચેનલ્સ પણ હવામાન માટેના બુલેટિનમાં ફેરફાર કરશે. આ રીતે ભારત પાકિસ્તાનને કેટલાક સંદેશા આપવા માંગે છે જેમાં નીચે દર્શાવેલા ત્રણ સંદેશા મહત્વના છે.

1. પાકિસ્તાને POK પર ગેરકાયદેસર કબજો કર્યો છે

એક વરિષ્ઠ સરકારી અધિકારીના કહેવા પ્રમાણે ભારતનું બદલાયેલુ વલણ પાકિસ્તાન અને તેને સાથ આપનારાઓ માટે ઉગ્ર સંદેશારૂપ છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના 86,000 સ્કેવર કિમી ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજો જમાવેલો છે. હવામાનની અપડેટ ભારતના આ સંદેશાને દરરોજ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં રજૂ કરશે. દરરોજ હવામાનની અપડેટ અને ટીવી પર દેખાતો ભારતનો નકશો પાકિસ્તાન વિવિધ ક્ષેત્રોમાં ફેરફાર કરી ત્યાંના લોકોને હેરાન કરે છે તે પણ દર્શાવશે.

2. પાકિસ્તાનના મિત્ર ચીનનો વિરોધ

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના કારણે પણ ભારત માટે પોતાનો દાવો રજૂ કરવો જરૂરી બની ગયો છે. આ કોરિડોર ઉત્તરી ક્ષેત્રમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે અને લગભગ કેરળ જેટલી મોટી છે. જ્યારે ચીને તે વિસ્તારમાં કોરિડોર બનાવવાની શરૂઆત કરી ત્યારે ભારતને પણ તે પ્રોજેક્ટનો હિસ્સો બનાવવામાં આવશે તેવી આશા હતી પરંતુ તે પાકિસ્તાનના કંટ્રોલમાં રહેલા ઉત્તરી વિસ્તારમાંથી કાઢવામાં આવી. જ્યારે ભારતે તેનો વિરોધ કર્યો ત્યારે બેઈજિંગે નવી દિલ્હીને કહ્યું હતું કે, “ભારત હજુ પણ આ પ્રોજેક્ટનો હિસ્સો બની શકે છે કારણ કે તેનાથી કાશ્મીરના સ્ટેટસ પર કોઈ ફરક નહીં પડે કે તેને લઈ બંને દેશો વચ્ચે વિવાદ છે.

3. યુકેમાં રહેતા પાકિસ્તાની નેતાઓને સંદેશો

આ રીતે ભારત યુનાઈટેડ કિંગડમમાં રહેતા પાકિસ્તાની નેતાઓને પણ સંદેશો આપવા માંગે છે. પાકિસ્તાનના મીરપુરમાંથી અનેક લોકો યુકેમાં રહે છે અને તેઓ જેરેમી કાર્બન જેવા લેબર પાર્ટીના નેતાઓ સાથે સારો સંબંધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, જેરેમીએ જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરીને તેમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.