રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઉથલાવી દેવા કેન્દ્રીય મંત્રી રચી રહ્યા છે ષડયંત્ર : સુરજેવાલા.

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય દંગલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થકો તરફથી ઓડિયો ક્લિપ જારી કરી કેન્દ્રીય મંત્રી પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે. એવમાં તેમની સામે તાત્કાલિક એફઆઇઆર નોંધી ઘરપકડ કરવી જોઇએ. આ અંગે એસઓજીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પાયલોટ સમર્થક બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યાં છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપ લગાવ્યો છે કે વાયરલ ઓડિયોમાં ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનની સરકાર પાડી દેવા માટે કાવતરુ ઘડી રહ્યાં છે. ગજેન્દ્ર સિંહ શેખાવત હાલ સંજય જેન થકી કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલ શર્માના સંપર્કમાં હતા. હમણા સુધી સંજય જૈન જયપુર ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા. જોકે, હજુ સુધી તે વાતની ખરાઇ શકી નથી કે ઓડિયો ક્લિપમાં રહેલા સંજય જૈન ભાજપના જિલ્લા અધ્યક્ષ છે કે પછી બીજા કોઇ.

સુરજેવાલએ સંજય જૈન અને ભંવર શર્માની ઓડિયો ક્લિપ સંભળાવી કહ્યું કે ભાજપ સંત્તા લૂંટવાની ફિરાકમાં છે. ભાજપ લોકતંત્રનું ચીર હરણ કરવા માગે છે. મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે કાવતરું ઘડ્યું. પરંતુ આ વખતે ખોટું રાજ્ય પસંદ કર્યું છે.

હાલ કોંગ્રેસ પાયલોટ સમર્થક બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી સસ્પેન્ડ કરી નાખ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં ભંવર શર્મા અને સંજય જૈન વચ્ચેની વાતચીત સામે આવી છે. તેમાં ભંવર શર્મા મોટી રકમની વાત કરી રહ્યાં છે. જેના જવાબમાં સંજય જૈન કહે છે કે સાહેબને જણાવી દેવામાં આવ્યું છે.

ગેહલોત સરકાર બચાવવા વસુંધરાએ કોંગ્રેસી ધારાસભ્યોને ફોન કર્યા હતા : બેનિવાલ

બીજી તરફ વિવિધ દાવાઓ આવી રહ્યા હોવાથી રાજકીય માહોલ ગરમ રહ્યો હતો. એનડીએના સાંસદ હનુમાન બેનિવાલે સનસનીખેજ દાવો કર્યો હતો કે અશોક ગેહલોતની સરકાર બચાવવા માટે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કોંગ્રેસના ધારાસભ્યોને ફોન કરે છે અને અશોક ગહેલોતને સમર્થન આપવા મનાવે છે.

એનડીએના સાથીપક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનિવાલે સાથીપક્ષ ભાજપના જ નેતા વસુંધરા રાજે ઉપર ગંભીર આરોપ લગાવતા ટ્વીટ કર્યું હતું કે તેમની પાસે બે ધારાસભ્યોના પુરાવા છે. જે વસુંધરા રાજેના ફોન પછી પાછા ગહેલોતના સમર્થનમાં આવી ગયા હતા.

બેનિવાલે એક પછી એક ટ્વીટ કરીને વસુંધરા રાજે તેમના કટ્ટર હરિફ એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગહેલોતની સરકાર બચાવી રહ્યાં હોવાના સનસનીખેજ આરોપ કર્યા હતા અને એ ટ્વિટમાં તેમણે અમિત શાહ, જેપી નડ્ડા, ભાજપને ટેગ કર્યા હતા.

બેનિવાલે ગહેલોત-વસુંધરા તડજોડ એવા હેશટેગથી ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વસુંધરા રાજે કોંગ્રેસી ધારાસભ્યોને મનાવ્યા ન હોત તો ગહેલોતની સરકાર પડી ગઈ હોત. ભાજપના જ સાથીપક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનિવાલના આ દાવા પછી રાજસૃથાનના રાજકારણમાં ચાલતા ચડાવ-ઉતારમાં નવો જ વળાંક આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.