રાજ્યોમાં હવે નવી હોડ શરૂ થવાની શક્યતા,યોગી બીજા રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને યુપીમાં પાછા લાવશે

લૉકડાઉન વચ્ચે દેશભરમાં એક મોટી અવર-જવર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજાં રાજ્યોમાં ફસાયેલા યુપીના મજૂરોને પાછા લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે શુક્રવારે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે બીજાં રાજ્યો સાથે વાતચીત કરીને મજૂરોની યાદી મગાવો, જેથી એ પ્રમાણે બસો મોકલી શકાય.

17 લાખ બિહારીઓને પાછા લાવવા મુશ્કેલ યુપી સરકારના નિર્ણય પછી બીજાં રાજ્યોમાં પણ મજૂરોની વાપસીનો સિલસિલો શરૂ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કોટાથી યુપીના આશરે 8 હજાર વિદ્યાર્થીઓને પાછા લઈ જવા માટે યુપીએ જ સૌથી પહેલાં બસો મોકલી હતી. તે પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામે પણ તેમના વિદ્યાર્થીઓને પાછા લઈ જવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન યુપીના પાડોશી રાજ્ય બિહારના સીએમ નીતીશકુમાર ઉપર પણ વિદ્યાર્થીઓને પાછા લઈ જવાનું દબાણ વધી ગયું હતું. કોટામાં બિહાર જ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ વિદ્યાર્થીઓને પાછા લઈ જવાનો મુદ્દો હાઈકોર્ટ પહોંચી ગયો છે. જોકે નીતીશ સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે બીજાં રાજ્યોમાં ફસાયેલા 17 લાખ બિહારીઓને પાછા લાવવા શક્ય નથી.

14 દિવસનું ક્વોરન્ટીન પૂરું કરી ચૂકેલા મજૂરોને જ લવાશે, હજુ 14 દિવસ ક્વોરન્ટીનમાં રખાશે: મજૂરોની વાપસીની પ્રક્રિયા તબક્કાવાર થશે. બીજાં રાજ્યોમાં યુપીના જે મજૂરોએ ક્વોરન્ટીન પૂરું કરી લીધું છે તેમને જ પાછા લવાશે. બોર્ડર પર સ્ક્રીનિંગ પછી તેમને જિલ્લામાં મોકલાશે. જિલ્લામાં ફરી તેમને 14 દિવસ ક્વોરન્ટીનમાં રખાશે. પૂલ ટેસ્ટિંગ પણ કરાશે. ઘરે મોકલતી સમયે દરેક મજૂરને એક હજાર રૂપિયા અને રાશન કિટ અપાશે. જોકે કોટાથી લવાયેલા વિદ્યાર્થીઓને 14 દિવસ ઘરમાં જ ક્વોરન્ટીન રહેવા કહેવાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.