શિયાળામાં કોવિડના કેસ વધવાની નિષ્ણાતોની ચેતવણી : એક્શન પ્લાન તૈયાર કરાયો

– શ્વસનતંત્રને હાનિકર્તા વાઇરલનો પ્રકોપ શિયાળામાંઉગ્ર બને છે તે મુજબ કોરોનાવાઇરસનું પણ જોર વધશે : તજજ્ઞા સમિતિ

મહારાષ્ટ્રમાં ગઇકાલે બુધવારે કોવિડ-૧૯ના નવા ૫૫૦૫  કેસ તથા તેને લીધે ૧૨૪ લોકોનાં મોત થયાનું નોંદાયા સાથે કેસની તથા મોતની કુલ સંખ્યા અનુક્રમે ૧૬,૯૮,૧૯૮ તથા ૪૪,૫૪૮ની થઇ હતી.

બીજી તરફ મુંબઇમાં સતત એક હજારથી ઓછા કેસ નોંધાતા રહ્યા છે. બુધવારે ૯૮૩ કેસ તથા ૨૯ મોત નોંધાવા સાથે કેસ અને મોતની કુલ સંખ્યા અનુક્રમે ૨,૬૦,૮૪૩ તથા ૧૦,૩૪૯ની થઇ હતી.

શિયાળામાં કોવિડ મહામારીના બીજા સંભવિત મોજાનો સામનો કરવા સંસર્ગજન્ય રોગો માટે સરકારે નીમેલી સમિતિએ રાજ્યના આરોગ્ય ખાતાને એક એક્શન પ્લાન (જરૂરી પગલાં લેવાની યોજના) સુપરત કરી છે.

શ્વસનતંત્રને હાનિ પહોંચાડે તેવા વાઇરસનો પ્રકોપ શિયાળામાં વધુ ઉગ્ર બને તે સર્વસામાન્ય બાબત છે. અનેક નિષ્ણાતો માને છે કે શિયાળામાં તાપમાન ઘટવા સાથે કોવિડના કેસ વધવાની શક્યતા છે.

આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે શિયાળામાં કોરોનાવાઇરસની પ્રતિક્રિયા(પ્રભાવ) કેવી હશે તે બાબતે અમે અજાણ છીએ. આ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીન ે પણ લોકોએ સાવધ રહેવું જોઇએ તથા સ્વસુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવું જોઇએ. આ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે શિયાળામાં એચવન એનવન (સ્વાઇનફ્લુ)ના કેસ વધતા હોય છે. જો કે, આ વધારો ચોમાસામાં થાય તેટલો હોતો નથી. આરોગ્ય ખાતાને એવી પણ આશા છે કે સામુદાયિક રોગપ્રતિકાર શક્તિ  (હર્ડ  ઇમ્યુનિટિ) પણ કોરોના ઉપદ્રવની બીજી લહેર ખાળવામાં સહાયરૂપ થશે.

સમિતિના સભ્ય ડો. સુભાષ સાળુંકે એ કહ્યું હતું કે શિયાળામાં અન્ય તમામ વાઇરસની જેમ કોરોનાનું જોર પણ વધશે. કોવિડ-૧૯ એવા વાઇરસ છે કે જે શ્વસતંત્ર દ્વારા સંક્રમીત થાય છે. અને વાતાવરણ જેટલું વધારે ઠંડુ તેટલી સંક્રમણ (ફેલાવા)ની શક્યતા વધુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.