ગુજરાતના આ જીલ્લાના 40 હજાર જેટલા ખેડુતોને સરકારની સહાય નહિ મળે,જાણો કારણ વિગતે

ખેડૂતોને થયેલા નુકશાનને લઇને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હતું. સરકારના નિયમો અનુસાર જે ખેડૂતોએ રાહત માટે અરજી કરી હશે તેમને જ સરકારની સહાય આપવામાં આવશે અને જે ખેડૂતોએ અરજી નહીં કરી હોય, તો તેમને સરકારની સહાય મળવા પાત્ર થશે નહીં. જો કે, જૂનાગઢના કેટલાક ખેડૂતો સરખી નેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે ઓનલાઈન અરજી કરવાથી વંચિત રહ્યા છે. તેથી તેમને હવે સરકારની સહાય મળશે નહીં.

એક રિપોર્ટ અનુસાર આજે ખેડૂતોને સરકારની સહાય મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તેમની ઓનલાઈન અરજી કરવા માટે પણ ગયા પરંતુ સરખી નેટ કનેક્ટિવિટી ન મળતા જૂનાગઢ જિલ્લાના 40 હજાર ખેડૂતો અરજી કરી શક્યા નથી. સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાના 511માંથી 300 જેટલા ગામડાઓને SDRFમાં સમાવેશ કરવાના કારણે ખેડૂતોને એક હેક્ટર દીઠ 6,800 અને વધુમાં બે હેક્ટરની સહાય ચૂકવાની અને 211 ગામડાઓના ખેડૂતોને 4,000 રૂપિયાની સહાય ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આંકડાઓ અનુસાર જૂનાગઢ જિલ્લામાં 1,68,469 ખેડૂતો નોંધાયેલા અને તેની સામે 1,28,298 ખેડૂતોએ સરકારની સહાય માટે અરજી કરી છે.

જૂનાગઢ જિલ્લાના 40 હજાર ખેડૂતોની સાથે-સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા 10 ગામના ખેડૂતોને સરકારની સહાયનો લાભ મળશે નહીં આ ગામડાઓમાં સરગવાડા, ઝાંઝરડા, દોલતપરા, ખલીલપુર, ચોબારી, ખામધ્રોળ, ટીંબાવાડી, ભવનાથ સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.