પ્રમુખસ્વામી ની જન્મભુમી ચાણસદમાં તળાવની વચ્ચે પ્રમુખ સ્વામીની પ્રતિમા સ્થાપિત કરવા ભૂમિ પૂજન થયું

વડોદરાઃ પાદરા નજીક આવેલા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ગામ સ્થિત તળાવની મધ્યમાં પ્રમુખ સ્વામીજીની પ્રતિમા સ્થાપિત કરી તીર્થનો નયનરમ્ય વિકાસ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન વખતે બીએપીએસ સંસ્થાના સંતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતનું ગૌરવ

પાદરા તાલુકાનું ચાણસદ એ વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદના શાંતીલાલે આધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટી એ પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યું છે. દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું અને ધર્મ ધજાને ફરકતી રાખવાની સાથે સેવા ધર્મ શીખવાડયો અને લાખો ભાવિકોને કલ્યાણના માર્ગનું માર્ગદર્શન કર્યુ છે. આ રીતે બાપ્સના પ્રમુખ વિશ્વ વંદનીય સંત બન્યા અને ગુજરાતને તથા ભારતને ગૌરવ અપાવ્યું.

સંતની ભૂમિ આસ્થાનું કેન્દ્ર

એ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. રાજ્યના પ્રવાસન વિભાગે અંદાજે રૂ.10 કરોડના ખર્ચે પુણ્ય ભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યું છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે.

ચાણસદના વિશાળ તળાવની મધ્યમાં મહારાજની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ(પુલો)બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે. આ ઉપરાંત સ્વામીજીનો જ્યાં જન્મ થયો એ ઘર(પ્રાગટય ભૂમિ), સ્વામિનારાયણ મંદિર, હનુમાનજીનું મંદિર અને ચાણસદના તળાવને સાંકળી લઈને ગ્રીન લેન્ડ સ્કેપિંગ સહિત નયનરમ્ય વિકાસનું આયોજન અહીં સાકાર કરવામાં આવશે. ભૂમિપૂજન દ્વારા આજે પ્રાગટય ભૂમિના વિકાસની વ્યાપક કામગીરી શરૂ થઈ છે. દર વર્ષે મોટી સંખ્યામાં બિન નિવાસી ભારતીયો સહિત હજારો યાત્રાળુઓ આ પ્રાગટય તીર્થના દર્શને આવે છે. જેને ધ્યાનમાં રાખીને યાત્રાળુ સુવિધાઓના વિકાસનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આમ, પ્રાસાદિક તીર્થ એવા આ પ્રાગટય તીર્થની સાથે ચાણસદ હવે વિકાસ તીર્થ બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.