સુરતમાં થોડા કલાકમાં બે હત્યાના બનાવ, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે…

સુરતમાં દિન પ્રતિદિન હત્યા, લૂંટ, ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. હાલમાં જ થોડા કલાકમાં બે હત્યાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સુરતમાં થોડા કલાકમાં બે હત્યાના બનાવ

સુરત : દિનપ્રતિદિન સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે. કતારગામ દરવાજા પાસે યુવકને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો હતો. ઘટનાને થોડી કલાકો પહેલા કાપોદ્રામાં રત્નકલાકારની હત્યા કરી દેવાઈ હતી. બનેલી હત્યાના બનાવોને લઈને સુરતની પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પ્રથમ બનાવ : કતારગામ દરવાજા સાંઈબાબા મંદિર પાસે એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનો મેસેજ વચ્ચે ચોકબજાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ ત્યાં પહોંચી તે પહેલાં ઘાયલ યુવકનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકની ઓળખ કુબેરનગરમાં રહેતા જયેશ ઉર્ફે જલો લક્ષ્મણ રાઠોડ તરીકે થઈ હતી.

યુવકનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ મળી આવ્યું ન હતું. આ યુવક ત્યાંથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. ત્યારે પગપાળા આવેલા અજાણ્યા શખ્સે તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી હત્યા કરી નાંખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ જયેશની હત્યામાં સંડોવાયેલા ઇસમને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતક જયેશે બે વર્ષ અગાઉ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું મૃતકના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બીજો બનાવ : આ ઘટનાના થોડા કલાકો અગાઉ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડ સામે ઓવરબ્રિજ નીચે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેના ચહેરા અને માથા પર પથ્થરના ઘા મારી રહેંસી નાખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તેની પાસેથી મળેલી કારખાનાની ચાવીના કિચનમાં લખેલા નંબરને આધારે તેની ઓળખ પાલિતાણાના ભાદાવાવ ગામના 36 વર્ષીય અરવિંદ પોપટ રાઠોડ તરીકે થઈ હતી. મૃતક પાંચ દિવસ પહેલાં જ સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરવા આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.