સુરતમાં ફરી મહેકી માનવતા: માત્ર છ દિવસના બાળકના અંગદાનથી 4ને મળ્યુ નવજીવન…

Surat Organ donations: સુરતમાંથી માત્ર 5 દિવસની બ્રેનડેડ બાળકીના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે. આ સાથે જ સમગ્ર દેશનાં ત્રણ નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ (Surat Organ donations) પણ સુરતમાંથી જ નોંધાયાં છે. વેલંજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેનડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો.

સુરતમાંથી આ ત્રીજો કેસ

આ અંગે ડો. નિલેશ કાછડિયાએ જણાવ્યું કે, દેશમાં ગયા વર્ષથી 28 દિવસથી નાનાં બાળકોનું અંગદાન-ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કેસ છે. સામાન્ય રીતે નિયોનેટલ એટલે કે નાના બાળકના ટ્રાન્સપ્લાન્ટમાં વધુ સમય લાગે છે. અંગો નાના હોવાથી માઈક્રો સર્જરી પડકારરૂપ બને છે. લોહીની નસો ખુબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે. ઘણા નવજાત બીમારીના કારણે બ્રેનડેડ થાય છે. જો ડોક્ટરો સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે. આપણે ત્યાંથી 6 મહિના પહેલાં બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

વેલંજાના ઠુમ્મર પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી

રાજકોટ ઉપલેટાના ઢાંક ગામના વતની અને વેલંજાની સુખશાંતિ સોસાયટીમાં રહેતા મયૂર ઠુમ્મરના પત્ની મનીષાબેને 23મીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીની તબિયત નાજૂક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના NICUમાં દાખલ કરાઈ હતી. જ્યાં 27મીએ બ્રેનડેડ જાહેર કરાઈ હતી. હોસ્પિટલના ડો. હરેશ પાગડાએ જીવનદીપ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. સોટોએ બાળકીનું લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને, બંને કિડની અમદાવાદની આઈકેડીઆરસીને અને ચક્ષુઓ લોકદ્રષ્ટી ચક્ષુબેંકને ફાળવ્યા હતા. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 14 મહિના બાળકમાં જ્યારે કિડનીઓ અમદાવાદના 10 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી.

સુરતથી આ રીતે 3 બાળકનાં અંગદાન

દેશમાં નાનીવયનાં બાળકોનું આં ત્રીજુ અંગદાન થયું છે. જે ત્રણે સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી કરાયાં છે, જેમાં પ્રથમ 100 કલાકના બાળકનું અને બીજું 120 કલાકના બાળકનું અંગદાન થયું હતું. હવે ત્રીજું 6 દિવસના બાળકનું અંગદાન કરવામાં આવ્યું છે.

પહેલીવાર અંગને ટ્રેનમાં લઈ જવાયું

બાળકનું લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને ફાળવાયું હતું. આ માટે ફ્લાઈટની તપાસ કરી તો વ્યવસ્થા ન હતી. જેથી ટ્રેનની તપાસ કરી તેજસમાં લિવર સમયસર મુંબઈ લઈ જઈ શકાય તેમ હોવાથી પહેલી વખત સુરતથી ઓર્ગન ટ્રેન મારફતે મુંબઈ લઈ જવાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.