સુરતમાં Yes Bank મુદ્દે ચકચાર, ઠેર-ઠેર લાઈનો, 4 લાખથી વધુ લોકોને હાલાકી ભોગવવી પડી

યશ બેન્કના બોર્ડને આરબીઆઈએ સસ્પેન્ડ કરવાની વાત, અને 50 હજાર રૂપિયા જ ઉપાડવાની લિમિટની વાત સામે આવતા જિલ્લાના લગભગ 4 લાખથી વધુ યસ બેન્કના ગ્રાહકો ધંધે લાગી ગયા છે. બેન્કની તમામ કામગીરી પર પ્રતિબંધ મુક્યાની વાત સામે આવતા પોતાની મહેનતના રૂપિયા લેવા માટે લોકો બેન્ક બહાર મોડી રાત્રીથી લાઈન લગાવી પૈસા ઉપાડવા મથામણ કરી રહ્યા છે. આજે પણ વહેલી સવારથી બેન્ક અને એટીએમ બહાર લાંબી લાઈનો લગાવી હતી, લોકોનો ધસારો જોતા પોલીસ મુકવાની નોબત આવી હતી.

યશ બેન્કના બોર્ડને આરબીઆઈએ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા. 5 માર્ચથી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂ. 50,000 જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો શહેરના યસ બેંકની સાથે-સાથે અન્ય બેંકોના એટીએમોમાં પણ દોડતાં થયા છે. લોકો મોડી રાત્રે પણ બેન્ક બહાર જોવા મળ્યા હતા, સાથે વહેલી સવારથી પોતાની મહેનતની કમાણી બેન્કમાં ફસાઈ ગઈ હોવાના ડરે તે લેવા લાઈનોમાં જોડાઈ ગયા હતા.

અનેક લોકોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ પણ બ્લોક થઈ જવાના કારણે યશ બેંકની સાથે અન્ય બેંકોના એટીએમમાંથી પણ રૂપિયા ઉપડી શક્યા નથી. સાથો-સાથ નેટ બેકિંગ માટેની મોબાઈલ એપ્લિકેશન પણ બ્લોક થઈ જતાં ખાતેદારોની ચિંતા ડબલ વધી છે.

3000 કરોડનું ટર્નઓવર દક્ષિણ ગુજરાતમાં હોવાની સાથે આ બેંકની કુલ 18 શાખાઓ છે. જેમાં 4 લાખથી વધુ કસ્ટમર હોવાની વિગત બહાર આવી હતી. લોકોને પોતાના રૂપિયા લેવામાં પડી રહેલી તકલીફ વચ્ચે લોકોએ હોબાળો મચાવ્યો હતો. વધુ હંગામો ના થાય તે માટે પોલીસને પણ બેન્કની દરેક શાખા પર ગોઠવી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.