સુરેશ રૈનાએ ધોનીને લઈ વિવાદ પર આખરે તોડ્યુ મૌન, માહી ભાઈ મારા માટે સર્વસ્વ છે

આઈપીએલ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટસમેન સુરેશ રૈનાને લઈને જાગેલો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

સુરેશ રૈના અધવચ્ચે જ ટીમને છોડીને ભારત પાછો ફરી જતા ક્રિકેટ ચાહકોએ પણઆશ્ચર્ય અનુભવ્યુ હતુ.ટીમના માલિક એન. શ્રીનાવસને આ વિવાદ વકરે તેવુ નિવેદન આપીને ધડાકો કર્યો હતો કે, રૈનાને હોટલમાં તેને અપાયેલા રુમને લઈને નારાજગી હતી અને તેને કેપ્ટન ધોની જેવો જ રુમ જોઈતો હતો.ટીમે તેની માંગણી નહીં સંતોષી હોવાથી તે ભારત પાછો ફરી ગયો છે.

જોકે હવે આ વિવાદ પર રૈનાએ નિવેદન આપ્યુ છે.એક ક્રિકેટ સાઈટ સાથેની વાતચીતમાં તેણે કહ્યુ હતુ કે, હું મારા પરિવારના કારણે ભારત પાછો ફર્યો છું.મને એ વાતની ચિંતા હતી કે, મને જો કોરોનાના કારણે કશું થઈ જાય તો મારા પરિવારનુ શું થશે.મારો પરિવાર મારા માટે મહત્વનો છે.

તેણે આગળ કહ્યુ હતુ કે, હું હાલમાં પણ ટ્રેનિંગ લઈ રહ્યો છું.હું ફરી કદાચ ચેન્નાઈના કેમ્પમાં જોવા મળીશ.બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને સુરક્ષિત રાખવા માટે બહુ સારુ કામ કરી રહ્યા છે.ખેલાડીઓ માટે આ સ્થિતિ નવી છે પણ વાતાવરણ બહુ સુરક્ષિત છે.કોઈ બાયો બબલની બહાર જઈ શકે તેમ નથી.

કેપ્ટન ધોની સાથે વિવાદની અટકળો પર રૈનાએ કહ્યુ હતુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ મારો પરિવાર છે અને માહીભાઈ મારા માટે બધુ જ છે.મારા માટે આ કપરો નિર્ણય હતો જે મારે લેવો પડ્યો છે.મારી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કોઈ વિવાદ નથી.કોઈ કારણ વગર હું 12 કરોડની ફી છોડીને પાછો ફરુ તેમ નથી.ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી મેં સન્યાસ લીધો હોય પણ બીજા પાંચેક વર્ષ હું આઈપીએલ રમી શકું તેમ છું.

ઉલ્લેખનીય છે કે, રૈનાના કાકા પર અને પરિવાર પર ગયા મહિને પઠાણકોટમાં હુમલો થયો હતો.જેમાં તેના કાકા અને તેના પિતરાઈનુ મોત થયુ છે.રૈનાએ કહ્યુ હતુ કે, આ બહુ ભયાનક ઘટના હતી.જેનાથી મારો પરિવાર બહુ પરેશાન છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.