સ્વચ્છતા મિશન / સ્વચ્છતામાં સુરત રેલવે સ્ટેશન દેશભરમાં 24થી 18મા નંબરે આવ્યું,જયારે NSG-1 કેટેગરીમાં નંબર વન પર

સુરતઃભારતીય રેલવેના 720 રેલવે સ્ટેશન પર ‘સ્વચ્છ રેલવે સ્વચ્છ ભારત’ અભિયાન હેઠળ ભારતીય રેલવે દ્વારા પસંદ થયેલી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગાંધી જયંતીએ નોન-સબઅર્બન અને સબઅર્બન કેટેગરીના રેલવે સ્ટેશનોની સ્વચ્છતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સુરત દેશમાં નોન સબઅર્બન સ્ટેશનમાં 18માં નંબર પર જયારે પહેલા નંબર પર જયપુર અને બીજા નંબર પર જોધપુર રેલવે સ્ટેશન આવ્યું છે. જો કે, નોન-સબઅર્બનના એનએસજી-1 કેટેગરીના દેશના 21 મોટા રેલવે સ્ટેશનમાં સુરત પહેલા નંબર પર અને દાદર બીજા નંબર પર આવ્યું છે. એનએસજી-1 કેટેગરીમાં સામેલ રેલવે સ્ટેશનોની વાર્ષિક આવક રૂા. 500 કરોડ જેટલી અને પેસેન્જરોની અવર-જવર 20 મિલિયન જેટલી છે. આ સાથે ઉધના રેલવે સ્ટેશન 16માં અને એનએસજી-3 કેટેગરીમાં 7માં નંબર પર આવ્યું છે.

સ્વચ્છ રેલવે સ્ટેશન બન્યું સુરત

સુરત રેલવે સ્ટેશન 2016માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. 2019ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન લેવાયા હતા સાથે જ રેલવે સ્ટેશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં 18 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલવે સ્ટેશન જયપુર,જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. જેથી સબર્બન રેલવે સ્ટેશનમાં સુરતને પ્રથમ ક્રમાંક અપાયો હતો.

મહેનત રંગ લાવી

સુરત રેલવે સ્ટેશનના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં દિવસ રાત ટ્રેનો પસાર થાય છે. લાખોની સંખ્યામાં મુસાફરો આવે જાય છે. ત્યારે રેલવે સ્ટેશન પર થતી સતત સફાઈથી મુસાફરો પણ ખુશ હોય તેમ સર્વેમાં પોતાના મંતવ્યો આપ્યા હશે. સુરત રેલવે સ્ટેશન પર સ્વચ્છતાને લઈને કરાતી મહેનત રંગ લાવી હોય તેમ આજે પ્રથમ નંબર આવ્યો છે જે તમામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.