તંત્રની ઘોર બેદરકારી, સુરત શિક્ષણ સમિતિની 328 શાળાના 1.58 લાખ બાળકો સરકારી અનાજના લાભથી વંચિત

મહાનગરપાલિકાની 6.92 કરોડના બજેટ સાથે ચાલતી શિક્ષણ સમિતિની 328 શાળાઓના 1 લાખ 58હજાર બાળકોમધ્યાહન ભોજન અંતર્ગત સરકારી અનાજના લાભથી વંચિત રહી ગયા હોવાનું સામે આવ્યું છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અપાયેલી કૂપનની તારીખ વીતી ગયા બાદ પણ અનાજનો જથ્થો મળ્યો ન હોવાની બુમો પાડી રહ્યા છે. ભીમપોર, ડુમસ અને સુલતાનાબાદ સહિતની ચારશાળાના ધોરણ 1થી 8ના 500 જેટલાવિદ્યાર્થીઓ આખરે ધક્કાઓ ખાય કંટાળી જતા સામે આવ્યા છે. એટલું જ નહીં પણ ભીમપોર ગામના સામાજિક કાર્યકર્તાએ મુખ્યમંત્રીને લેખિતમાં મેઈલ કરી ફરિયાદ પણ કરી છે. જ્યારે આ બાબતે વિપક્ષ નેતા નટુભાઈ એ કહ્યું હતું કે, ત્રણ ત્રણ પરિપત્ર બહાર પાડ્યા બાદ પણ હજી વિદ્યાર્થીઓ અનાજના લાભથી વંચિત હોવા પાછળ તંત્રની ઉદાસીનતા અને સંકલનના અભાવ સાથે ગંભીર બેદરકારી કહી શકાય છે.

લક્ષ્મીકાંત પટેલ (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની માહામારીને લઈ સરકારે ગરીબ બાળકો ભૂખ્યા નહી રહી જાય એ માટે મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓને ઉંમર પ્રમાણે સરકારી અનાજનો જથ્થો આપવાની યોજના અમલમાં મુકાઈ હતી. જોકે, ડુમસ, ભીમપોર અને સુલ્તાનાબાદની 4 શાળાઓના લગભગ 400-500 જેટલા બાળકોને તારીખ વીતી ગયા બાદ પણ અનાજનો પુરવઠો મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. જેથી ગામના એક જવાબદાર સામાજિક કાર્યકર્તા હોવાથી તેમણે મુખ્યમંત્રી અને કલેકટરને મેઈલ કરી આ ગંભીર બાબતની જાણ (અરજી) કરી છે.

પ્રભાકર જૈના (પીડિત બાળકના પિતા) એ કહ્યું હતું કે, તેઓ ડુમસ-સુલ્તાનાબાદના રહેવાસી છે અને માળીનું કામ કરી ત્રણ બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના ત્રણેય બાળકો સુલ્તાનાબાદની નગર પ્રાથમિક શાળામાં ધોરણ-3, 8 અને 9માં અભ્યાસ કરે છે. લોકડાઉન બાદ શાળામાંથી બન્ને દીકરીઓને એક ફ્રી સરકારી અનાજની કૂપન (રસીદ) આપવામાં આવી હતી. જેમાં તારીખ 16 માર્ચથી 3 મે દરમિયાન ચોખા અને ઘઉં સરકારી અનાજની દુકાન પરથી લઈ આવવા કહેવાયું હતું. જોકે, વારંવારના ધક્કા ખાધા બાદ પણ અનાજ મળ્યું નથી. દુકાનદાર કહે છે કે, તમારી યોજનાનું અનાજનો જથ્થો હજી આવ્યો નથી. આવશે એટલે શાળાને જાણ કરીશું અને શાળામાં તપાસ કરીએ છીએ તો કહે છે અમને જાણ કરાશે એટલે તમને કહીશું. જોકે, 3 મેની તારીખ પણ જતી રહી છે. તેમ છતાં હજી સુધી કોઈ જવાબ કે અનાજ મળ્યું નથી. અમારા જેવા અનેક બાળકો સરકારી અનાજના લાભથી વંચિત રહી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.