નડિયાદ લવ-જેહાદપ્રકરણમાં આવ્યો નાટ્યાત્મક વળાંક,જાણો શુ કહ્યું ભોગ બનનારી યુવતીએ ??

નડિયાદના ચકચારી લવ જેહાદ કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પોતાના પર શારીરિક માનસિક અત્યાચાર થયો હોવાની ફરિયાદ કરનાર યુવતીએ નાટ્યાત્મક રીતે અગાઉના નિવેદનોથી પલટી મારી છે.મંગળવારના રોજ ભોગ બનનાર યુવતીએ પોલીસને અરજી આપી છે, જેમાં તેણીને યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. ત્યારે યુવતીએ અગાઉ યાસર સહિત તેના પરિવાર પર ગંભીર આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી તે સાચી કે અત્યારે બચાવ કરી અરજી આપી તે સાચી? તે વેધક સવાલ ઊંડી તપાસનો વિષય છે.

મંગળવારે એક તરફ યુવતીએ પોલીસને અરજી આપી બીજી તરફ યાસરની જામીન અરજી પાછી ખેંચાતા યુવતીનો નિર્ણય મરજીથી કે દબાણથી તે તપાસનો ‌વિષય બન્યો છે.અને ગત 24 માર્ચના રોજ નડિયાદની ખુશી (નામ બદલેલ છે.) દ્વારા યાસરખાન પઠાણ અને તેના પરિવારજનો સહિત કુલ 10 ઈસમો વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા, તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી.અને જેમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ દ્વારા કેવી રીતે તેણીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો, એકલી વિદેશ મોકલી દીધી અને પરત આવ્યા બાદ પણ ભાડાના મકાનમાં ગોંધી રાખી યાસર સહિત તેના ભાઈ, પિતા, માતાં સહિતના પરિવારજનોએ અનેક પ્રકારે અત્યાચાર ગુજાર્યો હોવાની રુંવાડા ઊભા કરી દેતી વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.

ગુનાની ગંભીરતાને પગલે 24 કલાકમાં મુખ્ય આરોપીના ભાઈ, પિતા, માતા સહિત 7 લોકોને ઝડપી જેલ ભેગા કરી દેવાયા હતા.અને જેના 17 દિવસ બાદ 11 એપ્રિલના રોજ થાકી હારીને આરોપી યાસર પણ પોલીસના શરણે થઈ ગયો હતો. પરંતુ 26 એપ્રિલ મંગળવારના રોજ ભોગ બનનાર યુવતી પોલીસ પાસે પહોંચી હતી, અને જાણે કે તેનું માઈન્ડ વોશ થઇ ગયુ હોય તેમ યાસર તરફે અરજી રજૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખુશીએ યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી રહેવા માંગતી હોય યાસરને છોડવા માટે રજૂઆત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.

જે રીતે સમગ્ર કેસમાં વળાંક આવ્યો છે, તેને જોતા ધારાશાસ્ત્રીઓનું માનવું છે કે, આરોપી તરફે વકીલ હવે યુવતીનું એફિડેવિટ રજૂ કરી યાસર સહિત તમામ આરોપીઓને જામીન પર છોડાવવા અરજી કરી શકે છે.અને બીજી તરફ સમગ્ર કેસને વિડ્રો કરવા હાઇકોર્ટમાં પણ અરજી થઇ શકે છે.

અગાઉ પોલીસ ફરિયાદમાં કરેલા નિવેદનોથી ફરી ગયેલી ખુશીએ પોલીસ બંદોબસ્ત લીધો છે અને હવે તેણી માતા-પિતાનું ઘર છોડી યાસરના મિત્રના ઘરે રહેવા પહોંચી ગઇ છે.અને પોલીસ તરફથી સરકારી ખર્ચે 1 મહિલા અને 1 પુરુષ કોન્સટેબલ બંદોબસ્તમાં ફાળવાયા છે. જોકે તેણીને કોનો ડર છે, અને શા માટે બંદોબસ્ત લીધો છે તે જાણી શકાયું નથી. પરંતું આ ઘટનાક્રમથી ખુશીના માતા-પિતા પર આભ ફાટ્યું છે.

ચરોતર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાના એરણે ચઢેલા લવ જેહાદ કેસમાં ભોગ બનનાર યુવતી યાસરને જામીન પર છોડવાની અરજી લઈ સોમવારે કોર્ટમાં પહોંચી હતી. અને ત્યારે યાસર તરફથી વકીલોના ધાડેધાડા કોર્ટમાં ઉતરી પડ્યાં હોવાની લોકમુખે ચર્ચા છે. જો ચર્ચામાં તથ્ય હોય તો યુવતી સાથે આટલા વકીલો કોણે મોકલ્યાં? તે બાબત વિસ્તૃત તપાસ માંગી લે છે. કોર્ટે પોલીસમાં અરજી આપવાનું કહેતાં મંગળવારે યુવતીએ પોલીસને અરજી આપી અગાઉ ફરિયાદમાં કરેલા આક્ષેપથી વિપરીત યાસરને છોડી દેવા અરજ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.