ઉજ્જૈનઃ મહાકાલ મંદિરના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવેથી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ

જો તમે હાલમાં જ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તમારે આ મંદિરના નિયમોમાં થયેલા મોટા ફેરફાર વિશે જાણી લેવું જોઈએ. હવે મહાકાલ મંદિર પ્રશાસને મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હાલમાં જ એક ફિલ્મી ગીત પર બે સુરક્ષાકર્મીઓ દ્વારા બનાવેલ વીડિયો સામે આવ્યા બાદ મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે.

મોબાઈલ પર પ્રતિબંધ તેમજ પ્રસાદીના ભાવમાં વધારો
તમને જણાવી દઈએ કે 20 ડિસેમ્બરથી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને નવા વર્ષની વ્યવસ્થાને કારણે 24 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ગર્ભગૃહમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. આ સાથે મંદિરમાં ચઢાવવામાં આવતા પ્રસાદની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહાકાલ મંદિરમાં લાડુની પ્રસાદી અગાઉ 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. હવે તેને વધારીને 360 રૂપિયા પ્રતિ કિલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધપાત્ર રીતે, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તાજેતરમાં મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની પાછળ સુરક્ષાકર્મીઓ દ્વારા વીડિયો બનાવવાની ઘટના સામે આવ્યા બાદ મંદિર પ્રબંધન સમિતિએ આ કડક નિર્ણય લીધો છે અને આ અંગે મંદિર સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, શ્રી મહાકાલ મહાલોક બન્યા બાદ 5 ડિસેમ્બરે શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની પ્રથમ અને મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમણે જણાવ્યું કે સતત ફરિયાદો મળ્યા બાદ 20 ડિસેમ્બર 2022થી શ્રી મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

આ માટે આગામી 15 દિવસમાં મંદિરની બહાર લોકરની સુવિધા કરવામાં આવશે અને આ નિયમ મંદિરના પૂજારીઓ અને સુરક્ષા કર્મચારીઓને પણ લાગુ પડશે. નિયમોનું ઉલ્લંઘન કરવા અને પકડાવા પર દંડ થશે. કેટલો દંડ વસૂલવામાં આવશે તેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.