વડોદરા પરત આવતાં કલ્પેશભાઈ ચાંણોદ પાસે રાતના સમયે કાચા રસ્તે કેમ ગયા? કેસ વધુ ભેદી બન્યો

વડોદરા: વડોદરાના અત્યંત દુ:ખદ બનાવમાં પાંચ દિવસ પહેલાં ભેદી રીતે ગુમ થયેલા પરિવારની ગઈ કાલે ગુરૂવારે લાશો મળી આવી હતી. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોયા બાદ વડોદરાના કલ્પેશભાઈ પરમારન પરિવાર ભેદી રીતે ગુમ થઈ ગયો હતો. દરમિયાન ગઈ કાલે કલ્પેશભાઈની કાર ડભોઈ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. કારમાંથી ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. ચારેય લોકોના ગઈકાલે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે એકનો મૃતદેહ શુક્રવાર સવારે બનાવ સ્થળથી પાંચ કિલોમિટર દૂર મળી આવ્યો હતો. અત્યંત આઘાતજનક આ કેસમાં અનેક મૂંઝવતા પ્રશ્નોના જવાબો હજી પરિવાર કે પોલીસને મળ્યા નથી.

ડભોઈ પાસે નર્મદાની કેનાલમાંથી કાર મળી પણ અમુક સવાલો હજી પણ મૂંઝવી રહ્યા છે. જેમ કે કાર અકસ્માતે કેનાલમાં ખાબકી હોય તો કારમાં ઘસરકો કેમ નથી? હેડલાઈટ અને બમ્પરને કેમ કંઈ નુકશાન નથી થયું? એટલું જ નહીં કેનાલની બંને તરફની પાળીઓ પર પણ કારના ઘસરકાના કોઈ નિશાન કેમ મળ્યાં નથી?

વેગા ચોકડીથી વડોદરા તરફ જવા નીકળેલા કલ્પેશભાઈએ અચાનક કાર પરત કરી શિનોર ચોકડી થઈને ચાંણોદ તરફ કેમ વાળી? કોઈ સગા-વહાલા ચાંણોદ પાસે રહેતા નથી તો તેઓ રાતના સમયે આ રસ્તે કેમ ગયા? પરિવારના ચાર સભ્યો સાથે હોવા છતાં કલ્પેશભાઈએ કાચા રસ્તે રોંગ સાઈડમાં કેમ ગાડી ઉતારી? પોલીસે આ બધા પ્રશ્નોને લઈને વધુ તપાસ આદરી છે. કલ્પેશભાઈ પરમાર કમ્પ્યુટર લે-વેચની સાથે શેરબજારમાં ટ્રેડિંગનું કામ પણ કરતા હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.