વડોદરામાં આજે એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે, વિઠ્ઠલ-વિઠ્ઠલાનો નાદ ગુંજશે

શહેરના હાર્દસમા માંડવી ટાવર પાસેના સૈકાઓ જુના શ્રીવિઠ્ઠલનાથજી મંદિરમાંથી શુક્રવારે સવારે 9 કલાકે ભગવાનને સોના-ચાંદીના સુખપાલમાં બિરાજમાન કરાવી ભવ્યાતિભવ્ય વરઘોડો પ્રસ્થાન કરાવાશે. જે સાથે રાજમાર્ગ પર વિઠ્ઠલ-વિઠ્ઠલ-વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાનો કર્ણપ્રિય નાદ ગુંજશે.

શુક્રવારે કારતક સુદ અગિયારસે(દેવઊઠી-પ્રબોધિની એકાદશી)માંડવી ટાવર નજીકથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 210મો વરઘોડો બેન્ડવાજા, ભજન મંડળીઓ, સેંકડો ભક્તો સાથે વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવાશે. એ પૂર્વે મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, રાજઘરાનાના સભ્યો, મેયર ડો.જિગિશાબેન શેઠ સહિત વિવિધક્ષેત્રના અગ્રણીઓ ભગવાનની પૂજા-અર્ચન કરી આરતી ઊતારશે.

મંદિરના મહંત હરિઓમ વ્યાસે ઉલ્લેખ્યું હતું કે ભગવાન શ્રીવિઠ્ઠલનાથજીના મસ્તકે સ્વયં શિવજી બિરાજમાન હોઇ હરિહરનું એકજ સ્વરુપ છે. ભગવાનને ખિચડી-ખાંડનો પનો, ફળફળાદિ, પેંડા, બરફી સહિતના મિષ્ટાંનો ધરાવાશે. ગુરૃવારે રાતે ૩ કલાકે મંદિરમાં મંગળા આરતી કરાઇ ત્યારે પણ ભક્તો ઉમટયા હતા. વરઘોડાની પૂર્વસંધ્યાએ મંદિરને મેઘધનુષી રોશનીથી ઝળાહળા કરાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.