‘વિધવાને મેકઅપની શું જરૂર છે?’, હાઇકોર્ટની આ ટિપ્પણી પર ભડકી ઉઠી સુપ્રીમ કોર્ટ, લગાવી ફટકાર…

વિધવા અંગે એક ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટ બુધવારે ભડકી ગયી. તેણે પટના હાઈકોર્ટને જોરદાર ઠપકો આપ્યો. પટના હાઈકોર્ટે કહ્યું હતું કે આખરે એક વિધવાને મેકઅપની શું જરૂર.

વિધવાને મેકઅપની શું જરૂર? પટના હાઈકોર્ટની આ ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટ ખૂબ નારાજ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટને જોરદાર ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેક-અપ સામગ્રી અને એક વિધવા સંબંધી પટના હાઈકોર્ટની ટિપ્પણીને અત્યંત વાંધાજનક ગણાવી. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે આવી ટિપ્પણી એક કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી. સુપ્રીમ કોર્ટ 1985ના એક હત્યા કેસમાં પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરી રહી હતી. જેમાં એક મહિલાનું કથિત રીતે તેના પિતાનું ઘર કબજે કરી લેવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

પટના હાઈકોર્ટે આ કેસમાં પાંચ લોકોની સજાને યથાવત રાખી હતી અને અન્ય બે સહઆરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના નિર્ણયને ફગાવી દીધો હતો. કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી, જેમને અગાઉ નીચલી અદાલત દ્વારા તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે જણાવ્યું કે હાઈકોર્ટે આ પ્રશ્નની તપાસ કરી હતી કે શું પીડિતા ખરેખર તે ઘરમાં રહેતી હતી કે જ્યાંથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલાના મામા અને અન્ય સંબંધી અને તપાસ અધિકારીની જુબાનીના આધારે હાઈકોર્ટ એ તારણ પર આવી હતી કે તે આ ઘરમાં રહેતી હતી. ખંડપીઠે કહ્યું કે તપાસ અધિકારીએ ઘરનું નિરીક્ષણ કર્યું હતું અને કેટલાક મેક-અપ સામગ્રી સિવાય, મહિલા ખરેખર ત્યાં રહેતી હોવાનું દર્શાવવા માટે કોઈ સીધી સામગ્રી એકત્રિત કરી શકાતી નથી. બેન્ચે કહ્યું કે અલબત્ત, અન્ય એક મહિલા, જે વિધવા હતી, તે પણ ઘરના એ જ ભાગમાં રહેતી હતી.

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી પર આપ્યો ઠપકો

ખંડપીઠે કહ્યું કે હાઈકોર્ટે આ હકીકતની નોંધ લીધી હતી, પરંતુ તે કહીને તેને રદિયો આપ્યો હતો કે અન્ય મહિલા વિધવા હોવાથી, ‘મેકઅપની વસ્તુઓ તેની હોઈ શકે નહીં, કારણ કે વિધવા હોવાને કારણે તેને મેકઅપ કરવાની એટલે કે શૃંગાર કરવાની કોઈ જરૂર ન હતી.’ સુપ્રીમ કોર્ટની બેન્ચે તેના નિર્ણયમાં કહ્યું કે, ‘આપણા વિચારમાં હાઈકોર્ટની ટિપ્પણી ન માત્ર કાયદાકીય રીતે અસમર્થનીય છે પરંતુ તે અત્યંત વાંધાજનક પણ છે. આ પ્રકારની ટિપ્પણીઓ કાયદાની અદાલતની અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી, ખાસ કરીને જ્યારે તે રેકોર્ડ પર હાજર કોઈ પુરાવાથી આવું સાબિત ન થાય.”

સુપ્રીમ કોર્ટમાં શું હતો મામલો

બેન્ચે કહ્યું કે મૃતકના કપડાં અને ચપ્પલ જેવી કોઈ અંગત ચીજવસ્તુઓ આખા ઘરમાંથી મળી નથી. બેન્ચે કહ્યું કે પીડિતાનું મૃત્યુ ઓગસ્ટ 1985માં મુંગેર જિલ્લામાં થયું હતું અને તેના સંબંધીએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેનું સાત લોકોએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું. બેન્ચે કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બાદમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે પાંચ આરોપીઓને હત્યા સહિતના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા, જ્યારે અન્ય બેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રેકોર્ડ પર એવો કોઈ સીધો પુરાવો નથી કે જે સાબિત કરે કે આરોપીએ હત્યા કરી છે. સર્વોચ્ચ અદાલતે તમામ આરોપોમાંથી સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને નિર્દેશ આપ્યો કે જો તેઓ કસ્ટડીમાં હોય, તો તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.