વિરામ પછી ધોધમાર વરસાદ તૂટી પડશે? હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગેની માહિતી આપી…

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં કેવી સિસ્ટમ ગુજરાતને વરસાદ આપી શકે છે અને ચોમાસું ક્યારે વિદાય લઈ શકે છે તે અંગેની માહિતી આપી છે. જે ખેડૂત મિત્રો માટે પણ ઉપયોગી થઈ શકે છે.

ગુજરાતની આસપાસ રહેલી વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ શુક્રવારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, હવે આગામી સમયમાં વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે ખેડૂત મિત્રો અને સામાન્ય માણસોને કેટલાક સવાલો થઈ રહ્યા છે. આવામાં ખેતી અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસું ક્યારે વિદાય લઈ શકે છે તેની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે.

9 સપ્ટેમ્બર સુધીનો જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં લો-પ્રેશરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે જે અંગે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, લો-પ્રેશરના લીધે ગુજરાતના ઘણાં ભાગોને અસર કરનારો વરસાદ હશે, પરંતુ તે સાર્વત્રિક નહીં હોય અને ભારેથી અતિભારે નહીં હોય છે. જોકે, કેટલાક એવા વિસ્તારો હોઈ શકે છે કે જ્યાં એક-બે ભારે વરસાદી ઝાપટાં થયા હોય.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે, હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે. જેમાં ગુજરાતનું વાતાવરણ ખુલ્લું થઈ જશે.

9 સપ્ટેમ્બ સુધીમાં ભાવનગર, બોટાદ, આણંદ, નડિયાદ, કપડવંજ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, બિલિમોરા જેવા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તિવ્રતા જોવા મળી શકે છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ ગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જોકે, તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે, અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું છે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે, આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને પરેશ ગોસ્વામી કહે છે કે, 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમેત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય થઈ શકે છે.

તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય તે પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું અનુમાન હાલ દેખાઈ રહ્યું છે. આવામાં સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ બેથી ત્રણ ભારેથી અતિભારે વરસાદના સ્પેલ આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.