વિશ્વનો પ્રથમ કેસઃ થાઈલેન્ડમાં લાશના કારણે કોરોના ફેલાયો

– કોરોના વાયરસ શબમાં કેટલો સમય જીવીત રહી શકે તે અસ્પષ્ટ

– પોસ્ટમોર્ટમ અને શબ પરીક્ષણ સમયે કોવિડ-19નો ચેપ લાગવાની શક્યતા વધી

થાઈલેન્ડમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની લાશમાંથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનો કેસ સામે આવ્યો છે. શબ પરીક્ષકને દર્દીની લાશમાંથી કોરોનાનો ચેપ લાગ્યો હતો અને બાદમાં તેમનું અવસાન થયું હતું. સમગ્ર ઘટનાને વિશ્વમાં આ પ્રકારના પ્રથમ કેસ તરીકે નોંધવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ નિષ્ણાંતોએ મડદાઘર અને અંતિમ સંસ્કાર થતા હોય તેવા સ્થળોએથી સંક્રમણ ફેલાવાની ચિંતા વ્યક્ત કરી હતી.
બેંગકોકના વૈજ્ઞાનિકે જર્નલ ઓફ ફોરેન્સિક લીગલ મેડિસિનમાં પોતાનો અભ્યાસ રજૂ કરીને સમગ્ર કેસની પૃષ્ટિ કરી હતી. આ સંશોધનમાં બેંગકોકના આરવીટી ચિકિત્સા કેન્દ્રના વોન શ્રીવિજિતાલાઈ અને ચીનની હૈનાન ચિકિત્સા વિશ્વવિદ્યાલયના વિરોજ વાઈવાનિતકિતે પોતાનો ફાળો આપ્યો હતો. તેમણે કોરોના સંક્રમિત જીવિત વ્યક્તિ કે શબના સંપર્કમાં આવનારા દરેક વ્યક્તિને પ્રાથમિક સુરક્ષા ઉપકરણોથી સજ્જ થવાની સલાહ આપી હતી. ખાસ કરીને પોસ્ટમોર્ટમ અને શબ પરીક્ષણ સમયે કોવિડ-19નો ચેપ લાગવાની શક્યતા વધી ગઈ છે.
અંતિમ સંસ્કારમાં સાવધાની રાખવા સલાહ
નિષ્ણાંતોએ કોરોનાથી મરી ગયેલા લોકોના મૃતદેહના અંતિમ સંસ્કાર ખૂબ જ સાવધાનીથી કરવા અને હોસ્પિટલમાંથી શબને સુરક્ષિત રીતે અંતિમ સંસ્કાર માટે મોકલવા સલાહ આપી હતી. શ્રીલંકા સરકારે પણ શબના કારણે ફેલાતા સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમુદાયની મરજી વિરૂદ્ધ તમામ ધર્મના લોકોના મૃતદેહને સળગાવી દેવાનો આદેશ આપેલો છે.
વાયરસ શબમાં કેટલો સમય રહે તે અનિર્ણિત
વર્તમાન અભ્યાસમાં કોરોના વાયરસ મૃતદેહમાં કેટલો સમય રહી શકે અને શબને અડવાથી તે કેવી રીતે ફેલાય છે તેની કોઈ જાણકારી નથી મળી. પરંતુ સમગ્ર વિશ્વના મડદાઘરોમાં સેવાઓ આપી રહેલા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.