દુનિયામાં સૌથી વધુ ભારતમાં લોકો કોરોનાથી સાજા થયા: આરોગ્ય મંત્રાલય

કોરોના સામેની લડાઈ દરમિયાન દેશ સતત પોતાની આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરી રહ્યો છે. સારી બાબત એ છે કે દેશમાં જ્યાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 9,90,061 છે તો અત્યાર સુધી  38,59,399 કોરોના દર્દી સાજા થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિશ્વના કોઈ પણ દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થયા નથી. આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.

આરોગ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો એક્ટિવ કેસની સંખ્યા દેશના કુલ કેસના માત્ર 1/5 છે. તેમણે કહ્યું, દેશમાં 5 રાજ્યો એવા છે જેમાં દેશના કુલ એક્ટિવ કેસના 60 ટકા કેસો છે. દેશભરમાં કુલ એક્ટિવ કેસોમાં મહારાષ્ટ્રમાં 29% થી વધુ, આંધ્ર પ્રદેશમાં લગભગ 9 ટકા, કર્ણાટકમાં 10 ટકા, ઉત્તર પ્રદેશમાં 6.8 ટકા અને તમિલનાડુમાં લગભગ 4.7 ટકા કેસ છે.

ઉત્તર પ્રદેશમાં વધી રહ્યો છે મૃત્યુદર

ભૂષણે કહ્યુ કે દેશમાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જેમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5000થી 50,000 વચ્ચે છે. માત્ર 4 રાજ્યો એવા છે જ્યાં એક્ટિવ કેસોની સંખ્યા 50,000થી વધુ છે. તેમણે કહ્યું, કર્ણાટકમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં સતત કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદરમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં પણ મૃત્યુદર વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં દરરોજ 70 મૃત્યુ થઈ રહ્યાં છે. તો તમિલનાડુમાં પ્રતિ દિવસ મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે.

પ્રતિ મિલિયન માત્ર 3500 દર્દી

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ થઈ રહ્યાં છે, જ્યારે 8.9% પોઝિટિવિટી રેટ છે. ભારતમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધી રહી છે. 29 જુલાઈ સુધી જ્યાં દિવસમાં 5,04,266 ટેસ્ટ થતા હતા, તો 9 સપ્ટેમ્બર સુધી 10,94,592 ટેસ્ટ થવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના સચિવે કહ્યું કે, જ્યાં વિશ્વના અન્ય દેશોમાં પ્રતિ મિલિયન 5000થી 22000 સુધી કોરોના પોઝિટિવ મળી રહ્યાં છે, તો ભારતમાં પ્રતિ મિલિયન 3500 દર્દીઓ મળ્યા છે. આ પ્રમાણે આપણે લિસ્ટમાં સૌથી નીચે છીએ.

પ્લાઝ્મા થેરેપી પર પણ સ્ટડી થઇ રહ્યો છે: ICMR

કોરોનાથી થતાં મૃત્યુ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત વિશ્વના તમામ દેશોમાં, પ્રતિ 10 લાખની વસ્તીનાં હિસાબે 128 થી 600 દર્દીઓ મરી રહ્યા છે, ભારતમાં આ આંકડો 58 છે. તે પણ રાહતની વાત છે. ICMRએ કોરોના રસી વિશે જણાવ્યું છે કે દેશમાં 3 રસી ક્લિનિકલ ટ્રાયલ પર છે. તેમણે એમ પણ કહ્યું કે પ્લાઝ્મા થેરેપી પર પણ સ્ટડી કરવામાં આવી રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.