મિની લોકડાઉન લંબાશે?:ગુજરાતનાં 36 શહેરમાં કાલથી કર્ફ્યૂ અને નિયંત્રણો 20મી સુધી લંબાવવાની શક્યતા, આજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

શહેરોની સાથે ગામડાં સુધી ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માગતી નથી.

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, જેથી આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 5 સુધીનો છે, એને 20 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.

રાત્રિ નિયંત્રણો લંબાવવામાં આવશે? ;

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના આંકડાની સાથે શહેરોની સાથે ગામડાં સુધી ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માગતી નથી, પરિણામે, ગુજરાતમાં કોરોનાના કેસો 10 હજારથી ઓછા થાય, સાથે સાથે રિકવરી રેટ 85 ટકાથી ઉપર જાય એ પછી જ કર્ફયૂ અને નિયંત્રણો ઓછાં કરવામાં આવે એવી શક્યતા છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં ;

ગુજરાતમાં 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.