જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, 3 મહિના પહેલા જ થયા હતા નિકાહ

સૌરાષ્ટ્રના જામનગર શહેરમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સોમવારે મોડીરાત્રે કાલાવડના નાકા બહારના વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાંથી મામલો બિચક્યો હતો.અને યુવાનને સમાધાન માટે બોલાવીને ચાર શખ્સોએ ઢોરમાર મારીને છરીના ઘા મારી દીધા હતા. જેના કારણે સમગ્ર જામનગરમાં ચકચાર મચી ગઈ છે. જામનગર સિટી એ ડિવિઝને આ મામલે ગુનો નોંધીને તપાસ ચાલું કરી દીધી છે.

જાણવા મળ્યું છે કે, ચારેય શખ્સોની પોલીસે ભાળ મેળવી લીધી છે. ત્રણ મહિના પહેલા મૃતક યુવાનના નિકાહ થયા હતા.અને આ ઘટનાને પગલે પરિવારમાં માતમનો માહોલ છે. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રહેતા શબ્બિર ગફાર ઉર્ફે કાલુ સોમવારે રાત્રે પોતાની બાઈક પર નીકળ્યો હતો.

એ સમયે જુબેર બાજરિયા નામના શખ્સે એની મજાક કરી હતી. જેને લઈને શબ્બિર અને આરોપી વચ્ચે માથાકુટ થઈ ગઈ હતી.અને પત્ની સાથે આવેલો શબ્બિર ત્યાંથી ચાલ્યો ગયો. બંને બાજું સમાધાનની વાત થઈ હતી. જેને લઈ આરોપી સદામે શબ્બિરને ચાંદી બજાર પાસે બોલાવ્યો.

ચાંદી બજારમાં જાહેરમાં આરોપી સદામ મહમ્મદ બાજરીયા અને તેની સાથેના અન્ય ત્રણ આરોપીઓ જુબેર મહમ્મદ બાજરિયા, મોહસીન ઉર્ફે ખજૂર ઈકબાલ શેખ, વસીમ સુલેમાન બશર સહિત યુવાનો ઉશ્કેરાયા હતા. ફરી બોલાચાલી કરી હતી. પછી ચારેય આરોપીએ શબ્બિર પર હુમલો કરી દીધો હતો.અને ચાર પૈકીના એક વ્યક્તિએ શબ્બિરને છરીના ઘા મારી દીધા હતા. પેટના ભાગે છરી મારી દેતા શબ્બિર ત્યાં જ પડી ગયો હતો.

પછી આરોપીઓ નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ પરિવારજનો, મિત્રો તથા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને જ્યાં શબ્બિર લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. પછી સારવાર હેતું એને હોસ્પિટલ ખસેડ્યો હતો.

જોકે, હોસ્પિટલમાં જ ટૂંકી સારવાર બાદ એનું મોત નીપજ્યું હતું. આમ આ બનાવ હત્યામાં પલટાયો હતો. એ ડિવિઝન PI એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો.અને પછી પોલીસે યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાસી ગયેલા આરોપીઓ સુધી પહોંચવા સર્ચ કર્યું હતું.

આ કેસમાં પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી છે. મજાક મસ્તી જેવી સામાન્ય બાબતને લઈને મામલો હત્યા સુધી પહોંચી જશે એવું તો કોઈએ વિચાર્યું જ ન હતુ. પુત્ર શાકભાજીનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. દુઃખની વાત એ છે કે, ત્રણ મહિના પહેલા જ એના નિકાહ થયા હતા. પત્નીના હાથમાં મહેંદી પણ યથાવત છે ત્યાં પતિનું મોત નીપજ્યું.અને આમ પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.